અભ્યાસ બાદ રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરાશે
રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તારમાં અમલમાં રહેલા અશાંતધારાની મુદત મે, 2026માં પૂર્ણ થઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ તેની મુદત વધારવાની કાર્યવાહી શરૂૂ કરી દેવામાં આવી છે. સિટી પ્રાંત-1 ચાંદની પરમાર દ્વારા આ અંગેની દરખાસ્ત કલેક્ટરને મોકલી દેવામાં આવી છે. કલેક્ટર આ દરખાસ્તનો અભ્યાસ કર્યા બાદ ટૂંક સમયમાં રાજ્ય સરકારને મોકલી આપશે, જેના પછી રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.
મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તારની 28 સોસાયટીઓમાં અસાધારો લાગુ છે, જેની મુદત 13/05/2021ના રોજ લાગુ કરવામાં આવી હતી અને તે 10/05/2026ના રોજ પૂરી થશે. આ કાયદા હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં હજારો હિંદુ લોકોને દસ્તાવેજ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
વહીવટી વિભાગના સૂત્રો અનુસાર, મુદત વધારા માટેની દરખાસ્ત હાલ કલેક્ટર પાસે મોકલી દેવામાં આવી છે. કલેક્ટર દ્વારા તેનો અભ્યાસ પૂર્ણ થયા બાદ તે રાજ્ય સરકારને મોકલાશે અને ત્યારબાદ રાજ્ય સરકાર આ અંગેનો નિર્ણય લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોટી સંખ્યામાં અસાધારાના કેસો પોલીસ વિભાગમાં પણ પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે, જેના નિકાલ માટે પણ આ પ્રક્રિયા કરવામાં આવી રહી છે.
અશાંત ધારા હેઠળ આવરી લેવાયેલા વિસ્તારોમાં છોટુનગર કો.ઓપ. હાઉસિંગ સોસાયટી લિમિટેડ,નિરંજની સોસાયટી,આશુતોષ સોસાયટી ,સિંચાય નગર સોસાયટી, આરાધના સોસાયટી, સ્વાસ્તિક સોસાયટી, પ્રગતિ સોસાયટી, ઈન્કમ ટેક્સ સોસાયટી, બેંક ઓફ બરોડા સોસાયટી, દિવ્ય સિદ્ધિ સોસાયટી, જીવનપ્રભા સોસાયટી, અંજની સોસાયટી, કૃષ્ણ કુંજ સોસાયટી, સૌરભ સોસાયટી, રેસકોર્સ પાર્ક, વસુંધરા સોસાયટી, અવંતિકા પાર્ક, જનતા જનાર્દન સોસાયટી, જાગૃતિ શ્રમજીવી સોસાયટી, યોગેશ્વર પાર્ક, શ્રેયસ સોસાયટી, નવયુગ સોસાયટી, બજરંગવાડી, સુભાષનગર, ચુડાસમા પ્લોટ, નહેરુનગર સોસાયટી, રાજનગર, અલકાપુરીનો સમાવેશ થાય છે.
