146 વર્ષ જૂના ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમમાં ધરખમ સુધારા કરવા કમિટીની રચના; જમીનની શરત-પ્રીમિયમ-ગણોત-હેતુફેર-આકારણી સહિતના મુદ્દે બદલાવ કરવા સૂચનો કરશે
ગુજરાત સરકાર રાજ્યમાં જમીન સંપાદન, માલિકી અને મહેસૂલી પ્રક્રિયાઓને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે કમર કસી રહી છે. એપ્રિલ 2025માં નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવાના અને પ્રિમિયમ મુક્તિના ઐતિહાસિક નિર્ણય બાદ હવે સરકાર ગણોત ધારા અને જમીન મહેસૂલ અધિનિયમ જેવા દાયકાઓ જૂના કાયદાઓમાં ’આમૂલ પરિવર્તન’ કરવાની તૈયારી કરી રહી છે.
મહેસૂલ વિભાગે કાયદાકીય જટિલતાઓ દૂર કરવા માટે એક સમિતિની રચના કરી છે, જેનું નેતૃત્વ અનુભવી નિવૃત ઈંઅજ અધિકારીઓને સોંપવામાં આવ્યું છે. આ સમિતિ ’ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ-1879’ માં સુધારા કરી નવો સંકલિત કાયદો તૈયાર કરશે. આ સમિતિ ’ગણોત વહિવટ અને ખેતીની જમીન અધિનિયમ-1948’ સહિતના અન્ય મહેસૂલી કાયદાઓમાં સુધારા માટે કામ કરશે.
આ સુધારાનો સૌથી મહત્વનો પાસું ’બિનખેડૂત’ વ્યક્તિઓ માટે ખેતીની જમીન ધારણ કરવાની જોગવાઈ હોઈ શકે છે. હાલના નિયમો મુજબ, ગુજરાતમાં જે વ્યક્તિ જન્મથી ખેડૂત નથી, તે ખેતીની જમીન ખરીદી શકતી નથી. સરકાર હવે આ નિયમમાં ઢીલ આપીને બિનખેડૂતો ખેતીની જમીન ધારણ કરી શકે તે માટેના વિવિધ વિકલ્પો પર ગંભીરતાથી વિચારણા કરી રહી છે. બદલાતા સમય સાથે અપ્રસ્તુત થઈ ગયેલા કાયદાઓ અને ઠરાવોને દૂર કરી, કોર્ટના ચુકાદાઓને ધ્યાનમાં રાખીને પ્રજાલક્ષી જોગવાઈઓ અમલી બનાવવી.
આ સમિતિ આગામી 6 મહિનામાં પોતાનો રિપોર્ટ સરકારને સોંપશે. આ પ્રક્રિયા દરમિયાન ગુજરાત કિસાન સંઘ, ક્રેડાઈ (CREDAI – બિલ્ડર એસોસિયેશન) અને બાર એસોસિયેશન (વકીલ મંડળો) સહીતના હિતધારકો સાથે બેઠકો યોજશે.
જૂના કાયદાઓના અર્થઘટનમાં થતી વિસંગતતાઓને કારણે હજારો કેસો કોર્ટમાં લંબિત છે. પ્રિમિયમ અને મંજૂરીની પ્રક્રિયાઓ સરળ થવાથી વહીવટી પારદર્શકતા વધશે. જમીન વ્યવહારો સરળ થવાથી ઉદ્યોગ અને ખેતી ક્ષેત્રે નવા રોકાણો આવવાની શક્યતા છે. મહેસૂલ વિભાગના સંયુક્ત સચિવ રીનીશ ભટ્ટ દ્વારા જારી કરાયેલા આદેશ બાદ આ સમિતિઓએ કામગીરી શરૂૂ કરી દીધી છે. ટૂંક સમયમાં ગુજરાતમાં જમીન લે-વેચ અને માલિકીના હક્કોમાં એક નવા યુગની શરૂૂઆત થઈ શકે છે.
રીટાયર્ડ IASની અધ્યક્ષતામાં બનાવેલ કમિટી છ મહિનામાં સરકારને રીપોર્ટ આપશે
રાજ્ય સરકારે ગયા અઠવાડિયે ગુજરાત જમીન મહેસૂલ કાયદા, 1879, અને તેના સંબંધિત નિયમો અને ઠરાવોનો અભ્યાસ કરવા અને કાયદામાં જરૂૂરી સુધારા કરવાની ભલામણ કરવા માટે નિવૃત્ત આઇએએસ અધિકારી સી.એલ. મીણાના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી હતી. આ સમિતિમાં એમ.બી. પરમાર અને અનીસ માંકડ (બંને નિવૃત્ત આઇએએસ અધિકારીઓ) અને સભ્ય સચિવ સહિત અન્ય સભ્યો છે. આ સમિતિને છ મહિનાની અંદર સરકારને પોતાનો અહેવાલ સુપરત કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં 22 ડિસેમ્બરે એક સૂચના જારી કરવામાં આવી હતી.
