દોઢ વર્ષના પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી: કારણ અકબંધ
શહેરના આજીડેમ ચોકડી નજીક આવેલા ખોડીયારપરમાં રહેતા પરપ્રાંતિય સગર્ભાએ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ બિહારની વતની અને હાલ છ મહિનાથી રાજકોટમાં ખોડીયારપરામાં રહેતી રુચીકુમારી અટલકુમાર શાહ (ઉ.વ.21)નામની પરિણીતાએ આજે સવારે પોતાના ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનુ મોત નીપજ્યુ હતુ. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી થોરાળા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક પરિણીતાના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેને સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર છે. હાલમાં તેને સારા દિવસો જઇ રહ્યા હતા. ત્યારે આ પગલું ભરી લેતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
