ગુજરાત સરકારની ડાયલ 112 ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ લોન્ચ કર્યા બાદ ગુજરાત સરકારનાં નવા સ્માર્ટ પોલિસિંગ યુગની શરૂઆત થઈ છે ત્યારે ડાયલ 112 સેવા અંતર્ગત રાજકોટ શહેર અને જિલ્લામાં ફાળવવામાં આવેલ 50 જેટલી જન રક્ષક વાનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા સાથે રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે આ 112 સેવા અંતર્ગત ફાળવવામાં આવેલ 50 જન રક્ષક વાનને લીલીઝંડી આપી હતી.
સરકાર દ્વારા આ નવા યુગની સ્માર્ટ પોલિસિંગ સીસ્ટમ તરફ નવું પગલું ભરવામાં આવ્યું છે. જેમાં સુરક્ષા સંબંધિત તમામ પ્રકારની સેવા હવે એક જ નંબર ઉપર ઉપલબ્ધ થશે. ડાયલ 112 સેવા ગુજરાતના લોકોને વિવિધ પ્રકારના ટોલ ફ્રી નંબરો જેવા કે 100,108, ફાયર માટેના 101, મહિલા સહાય માટે 181, બાળ સહાય માટે 1058 તેમજ આપત્તી માટેના 1070-1077માંથી મુક્તિ મળશે. હવે 112 ઉપર જ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. 112 સેવાના જન રક્ષાના વાહનોનું આજે લોકાર્પણ થયું હતું.
જેમાં શહેર અને જિલ્લામાં ફાળવવામાં આવેલા 50 જેટલા વાહનોને લીલીઝંડી આપવામાં આવી હતી. લોકોને હવે કોઈપણ પ્રકારની સુરક્ષા સંબંધીત સેવા પછી ભલે તે આપત્તી હોય, બાળ કે મહિલા હેલ્પલાઈન હોય, ફાયર સર્વિસ હોડ કે પોલીસ સેવા હોય ફકત 112 ડાયલ કરીને ખુબ ઓછા સમયમાં પુરી પાડી શકાશે. આ પ્રોજેકટ હેઠળ અમદાવાદ સ્ટેટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર 24 કલાક કાર્યરત રહેશે અને 150 બેઠકોની ક્ષમતા ધરાવતું કોલ સેન્ટર દરેક સમય સજાગ રહેશે અને એક સંકલિત સિસ્ટમ દ્વારા આ તમામ પ્રકારની સેવાઓ સાથે જોડાયેલ રહેશે.રાજકોટ શહેર પોલીસ હેડકવાર્ટર ખાતેથી 112 સેવા માટે કાર્યરત 50 જનરક્ષક વાનને લીલીઝંડી આપવામાં આવી ત્યારે શહેર અને ગ્રામ્ય પોલીસ વિભાગનાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
