આગેવાનોને અફવા, ગેરસમજ કે ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓથી દૂર રહેવા અપીલ કરાઈ
વેરાવળ શહેરમાં આગામી ચેટી ચંદ, રામ નવમી અને રમજાન જેવા તહેવારો પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સીટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક પી.આઇ. જે.એન.ગઢવી ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.
આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના વિવિધ સમાજના પ્રમુખ, આગેવાનો તેમજ સામાજિક અને સેવાકીય સંસ્થા ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન તહેવારો શાંતિપૂર્ણ અને ભાઈચારા સાથે ઉજવાય તે અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. પી.આઈ. જે.એન.ગઢવી એ સમાજના આગેવાનોને અફવા, ગેરસમજ કે ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓથી દૂર રહી શાંતિ જાળવવા અને પોલીસને સહકાર આપવા અપીલ કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે, વેરાવળમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. કોઈપણ અસામાજિક તત્વો દ્વારા કાયદો ભંગ કરવાનો પ્રયાસ કરશે તો કડક કાર્યવાહી કરાશે.
શાંતિ સમિતિની બેઠક બાદ સીટી પી.આઈ. જે.એન.ગઢવી ની આગેવાનીમાં શહેરમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ મુખ્ય બજારો, વ્યસ્ત માર્ગ અને રાજમાર્ગ પરથી પસાર થઈ હતી. ફ્લેગ માર્ચ માં સીટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડ ના પી.એસ.આઇ. રાયજદા, પ્રજાપતિ, મહિલા પોલીસ કર્મચારીઓ અને જી આર ડી ના જવાનો જોડાયા હતા. આ ફ્લેગ માર્ચ દ્વારા પોલીસે અસામાજિક તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાનાર અથવા કાયદો વ્યવસ્થાની ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરાશે. પોલીસ તંત્રએ “કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશો” નો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. વેરાવળ શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે દરેક નાગરિકનો સહકાર જરૂૂરી હોવાનું પણ જણાવ્યું હતું.
