ગુજરાતના વાતાવરણમાં અત્યારે અચાનક પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયું વાતાવરણ રહેતા ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. તો બીજી તરફ વહેલી સવારથી જ ઘાઢ ઘુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. જેના પગલે વિઝિબિલિટી પણ ઓછી થતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. વાતાવરણમાં આવેલા પટલાના પગલે ભરશિયાળે વરસાદની પણ શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. સરેરાશ લઘુતમ તાપમાનમાં પણ બે ડીગ્રી સે. જેટલો વધારો નોંધાયો છે. અત્યારે ગુજરાતમાં 12-13 ડિગ્રી જેટલું લઘત્તમ તાપમાન રહેલું છે ત્યારે રવિવારે 7.2 ડિગ્રીથી લઈને 19.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં 7.2 ડિગ્રી લઘુતમ તાપમાન રહેતા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 19.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડિસામાં 16.1 ડિગ્રી, કેશોદ 13.9 ડિગ્રી, રાજકોટ 13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. વાતાવરણમાં આવેલા અચાનક પલટાના કારણે રાજ્યમાં તાપમાનમાં આંશિક વધારો થયો છે. જોકે, અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસમાં ચાર ડિગ્રી જેટલું તાપમાન ઉંચકાયું હતું. રવિવારે અમદાવાદમાં 17.6 ડિગ્રી લઘુતમ તપામાન નોધાયું હતું. જે શુક્રવારે 13.4 ડિગ્રી જેટલું નોધાયું હતું.
શહેરમાં વહેલી સવારથી જ ધુસ્સમની ચાદર છવાયેલી જોવા મળે છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 16.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
27-28 ડીસેમ્બરે માવઠા બાદ કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ
મૌસમના આ પરિવર્તનની ગુજરાત ઉપર વ્યાપક અસર પડવા સંભાવના છે. આગામી ગુરુવાર તા.26ના સૌરાષ્ટ્રના ખાસ કરીને જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં તથા ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા વગેરે જિલ્લામાં માવઠાંની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છ ઉપર ઉત્તરથી રાજસ્થાન થઈને સીધા પવનો આવતા હોય છે જેના પગલે માવઠાં પછી ધ્રજાવી દે તેવી કાતિલ ટાઢની ભીતિ પણ સર્જાઈ છે. 28 ડીસેમ્બરે કચ્છ-દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરાઇ છે.

