ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. આ નોકઆઉટ મેચમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટથી જોરદાર વિજય મેળવ્યો હતો. આ સાથે ભારતીય ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે અને પાકિસ્તાનની છેલ્લી ખુશી પણ છીનવી લીધી છે. યજમાન હોવા છતાં પાકિસ્તાન આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ તેના દેશમાં યોજી શકશે નહીં. 29 વર્ષ પછી આઈસીસી ઇવેન્ટનું આયોજન કરી રહેલા પાકિસ્તાને લાહોરમાં ટાઇટલ મેચનું સપનું જોયું હતું, પરંતુ હવે તે દુબઈમાં રમાશે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસીન નકવીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન કરવા માટે દિવસ-રાત મહેનત કરી હતી. બોર્ડે ટુર્નામેન્ટ માટે 3 સ્ટેડિયમ તૈયાર કરવા માટે લગભગ 1800 કરોડ પાકિસ્તાની રૂૂપિયા ખર્ચ્યા હતા. આ કામ પૂર્ણ કરવામાં લગભગ 117 દિવસ લાગ્યા હતા. આમાં સૌથી વધુ પૈસા લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ પર ખર્ચવામાં આવ્યા હતા કારણ કે ફાઇનલ મેચ અહીં યોજાવાની હતી. એટલા માટે બોર્ડે 1800 કરોડ રૂૂપિયામાંથી લગભગ 1000 કરોડ પાકિસ્તાની રૂૂપિયા ફક્ત આ સ્ટેડિયમના નવીનીકરણમાં જ ખર્ચ્યા હતા. પણ આ બધું કોઈ કામનું નહોતું.
આટલી મહેનત અને ખર્ચ પછી PCB ચેરમેન મોહસીન નકવી અને પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફે સપનું જોયું હતું કે તેમની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ટાઇટલ મેચ લાહોરમાં રમશે. તેણે પોતાના ખેલાડીઓને ફરીથી ટ્રોફી ઉપાડવાનું પણ કહ્યું હતુ. પણ ફાઇનલની વાત તો ભૂલી જાઓ, પાકિસ્તાની ટીમ અહીં એક પણ મેચ રમી શકી નહીં. ગ્રુપ સ્ટેજમાં તેની એક પણ મેચ લાહોરમાં નહોતી. તેમણે વિચાર્યું હતું કે તે સરળતાથી સેમિફાઇનલમાં પહોંચી જશે અને લાહોરમાં મેચ રમશે પરંતુ તે પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ. આ પછી તેમની પાસે એક છેલ્લી ખુશી બાકી હતી કે પોતાના દેશમાં ફાઇનલનું આયોજન થાય પરંતું તે પણ ભારતીય ટીમે છીનવી લીધી છે.