પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ માટે નવી મુશ્કેલીઓ ઉભી થઈ છે. બલૂચિસ્તાને પાકિસ્તાની વડાપ્રધાન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરીને ખળભળાટ મચાવ્યો છે. મીર યાર બલોચે સોશિયલ મીડિયા દ્વારા આ વોરંટની જાહેરાત કરતા જણાવ્યું કે, આ આદેશ 8 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યો છે. શહબાઝ શરીફ પર બલૂચિસ્તાનના વિઝા નિયમોનું ઉલ્લંઘન કરવા અને પ્રાદેશિક સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.
બલૂચિસ્તાન ગણરાજ્યએ સ્પષ્ટ કહ્યું છે કે, તે એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્ય છે. નવા નિયમો મુજબ, કોઈપણ વ્યક્તિ પછી ભલે તે ગમે તેટલા ઊંચા હોદ્દા પર હોય, તેણે બલૂચિસ્તાનના ઈમિગ્રેશન કાયદાઓનું પાલન કરવું ફરજીયાત છે. માન્ય વિઝા અથવા કાયદેસરની પરવાનગી વગર પ્રવેશ કરવો ગુનો ગણાશે. વોરંટમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, શહબાઝ શરીફને બલૂચિસ્તાનના કોઈપણ એરપોર્ટ અથવા પ્રસ્થાન સ્થળ પર કસ્ટડીમાં લેવામાં આવી શકે છે.
બલૂચિસ્તાન ગણરાજ્યએ એક સત્તાવાર નિવેદનમાં પાકિસ્તાનના તમામ અધિકારીઓ અને નાગરિકો માટે અંતિમ ચેતવણી જારી કરી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, ક્વેટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અથવા અન્ય કોઈપણ પ્રવેશ બિંદુઓ પર શહબાઝ શરીફની ધરપકડ કરવાનો અધિકાર સુરક્ષિત રાખવામાં આવ્યો છે. કાયદાના કોઈપણ ભંગના કિસ્સામાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને સંબંધિત વ્યક્તિને બળજબરીથી પાકિસ્તાન પરત મોકલી દેવામાં આવશે.
