આજે ખોડિયાર જયંતિ નિમિતે ખોડલધામમાં વિશેષ કાર્યક્રમનું આયોજન થયું હતું. ત્યારે ભાજપના નેતા જયેશ રાદડીયાના નિવેદન બાદ પહેલીવાર ખોડલધામના નરેશ પટેલે જાહેર મંચ પરથી પોતાની વાતો રજૂ કરી હતી. જયેશ રાદડિયા દ્વારા જામકંડોરણામાં યોજાયેલા સમુહલગ્નોત્સવમાં કહ્યું હતું કે લોકોએ સમાજને લઈને રાજકારણ ન કરવું જોઈએ. આ બાબતે પુછતા નરેશભાઇ પટેલે માત્ર ‘નો કોમેન્ટ એટલો’ જ જવાબ આપ્યો હતો.
ખોડિયાર જયંતિ નિમિતે ખોડલધામમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમા ખોડલધામ યુવા સમિતિએ ધ્વજારોહણનો કાર્યક્રમ રાખ્યો હતો. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ખોડલધામના નરેશ પટેલે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે માનો પ્રાગટ્ય દિવસે આજે છે. સંગઠન કરવું. સંગઠીત રહેવું એ ખોડલધામનો મુખ્ય ઉદેશ છે. હું એવું કહું છું કે ખોડલધામ સંસ્થા નથી પરંતુ એક વિચાર છે. આજે લેઉઆ પટેલ સમાજના વિચારો આપણે દરેક ઘરની અંદર વાવવાના છે.
તેઓએ વધુમાં કહ્યું હતું કે તમને દરેકને ખ્યાલ છે કોઈ બીજી જ્ઞાતીના લોકો ઘર શોધતા હોય ત્યારે એમ કહે છે કે લેઉઆ પટેલ પાસે મળે તો વધારે સારું. આપણે લોકો ખુબ સરળ છીએ, સંયમતાથી જીવીએ છીએ. બીજાને મદદરૂૂપ થઈને આગળ વધીએ છીએ. આપણા વિચારો દરેક ઘર સુધી પહોંચે. આપણે મજબુત થઈ રાષ્ટ્રની સેવા કરીએ. તમામ યુવાનોને મારી આ અપીલ છે.
મને યાદ છે કે જ્યારે ખોડલધામનો વિચાર મને આવ્યો ત્યારે રાજકોટમાં 40 લોકો અમે એકઠા થયા હતા અને સ્વામી માધવપ્રસાદદાસજી પણ હાજર હતા. બધી વાતચીત થયા પછી સ્વામીએ મને કહ્યું કે જોજે દેડકા જોખવાનું કામ કરવા નિકળ્યો છે. દેડકા ક્યારેય જોખાય નહીં. પરંતું લેઉઆ પટેલે સાબિત કર્યું છે મા ખોડિયારના ચરણોમાં અમે એક છીએ અને રહીશું. તમે બધા સંગઠિત રહો , યુવા સમિતિ મોટી થાય, દરેક યુવાન સુધી ખોડલધામ પહોંચે, હકારાત્મક કાર્યો છે તેમા પ્રાણ પૂરો એવી મારી બધાને વિનંતી છે.
