બાલવાટિકા અને ધો.1 થી 8ના બાળકો માટે શાળાનો સમય બપોરે 12 વાગ્યા સુધી જ રાખવા સૂચના
તમામ સરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓ માટે પરિપત્ર
ઉનાળાની શરૂૂઆત સાથે જ સૂરજ આગ વરસાવી રહ્યો છે. જેના પગલે હવામાન વિભાગે પણ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવાની ફરજ પડી છે. તેવામાં હવામાન વિભાગે કરેલી હીટવેવની આગાહીને ધ્યાને લેતા શિક્ષણ વિભાગ પણ એલર્ટ થઈ ગયું છે. ગરમીને ધ્યાનમાં રાખીને તમામ સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાઓ માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે.
સાથે જ કેટલાક મહત્વના નિર્ણયો જાહેર કરી તેનું કડકાઈથી પાલન કરવા સૂચના આપી છે. તેમજ ઉનાળા દરમિયાન કોઈપણ પ્રકારના ખુલ્લામાં વર્ગો યોજવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.માર્ચ મહિનાની શરૂૂઆત સાથે જ ગરમીનો પારો વધ્યો છે અને છેલ્લા કેટલાક દિવસથી સૂરજ અગ્નિનો ગોળો બની ગયો છે.
આ વધતી જતી ગરમીના કારણે શિક્ષણ વિભાગ એલર્ટ બન્યું છે અને શાળા સંચાલકો માટે જિલ્લા શિક્ષણાધિકારીની મહત્વની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. શહેરમાં વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા તમામ સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાઓ માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. હીટવેવ 2026ની સામે તૈયારીઓના ભાગરૂૂપે શાળાઓને કેટલીક ખાસ સૂચનાઓનું પાલન કરવા આદેશ અપાયો છે.
શાળાઓએ શિક્ષકોના માધ્યમથી વિદ્યાર્થીઓને હીટવેવની અસરો અને તેનાથી બચવાના ઉપાયો વિશે માર્ગદર્શન આપવાની સૂચના આપી છે. ઉનાળા દરમિયાન કોઈપણ પ્રકારના ઓપન-એર કે ખુલ્લામાં વર્ગો યોજવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, બાલવાટિકા અને ધોરણ 1થી 8ના બાળકો માટે શાળાનો સમય બપોરે 12 વાગ્યા સુધી રાખવો હિતાવહ છે, જે અંગે શાળાના આચાર્યને સ્થાનિક સ્તરે નિર્ણય લેવા જણાવી દેવાયું છે.
બોર્ડની પરીક્ષાઓમાં પણ ખાસ વ્યવસ્થા-તકેદારી રાખવા સૂચના
હાલમાં ચાલી રહેલી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને, પરીક્ષાર્થીઓ માટે ઠંડા પાણીની સુવિધા, હવા-ઉજાસની યોગ્ય વ્યવસ્થા અને અન્ય આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવા ખાસ તાકીદ કરવામાં આવી છે. બીજી તરફ શિક્ષણાધિકારી કચેરી દ્વારા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી આગાહી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી એડવાઇઝરી પર પણ નજર રાખવામાં આવી રહી છે.
