ગુજરાતના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25 માં ચણા અને રાયડાની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન કરવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે ચણા પાક માટે રૂૂ. 5650 પ્રતિ ક્વિન્ટલ અને રાયડાના પાક માટે રૂૂ.5950 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યાં છે. ટેકાના ભાવ કરતા બજારભાવ નીચા જાય ત્યારે ભારત સરકારની પીએમ આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પી.એસ.એસ. હેઠળ રાજયમાં ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા તા.18.02.25થી તા.09.03.2025 (દિન-20) સુધી ખેડૂતોની ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વી.સી.ઈ મારફતે વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે.
રાજ્યના ચણા અને રાયડો પકવતાં ખેડુતભાઈઓએ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.વિવિધ ખરીદ કેન્દ્રો પર રાજ્યમાં ચણા અને રાયડાની ખરીદી તા.14.03.2025ના રોજથી કરવાનું સૂચિત છે. રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડા પાકની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે સરકારે તમામ આગોતરુ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
