78 મુદતો છતાં ટ્રાયલ ન ચાલતા હાઇકોર્ટે આરોપીને આપ્યા જામીન
NDPSના કાયદા હેઠળના એક કેસમાં આરોપીને જામીન આપતાં હાઇકોર્ટે એવું મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું છે કે,પ્રસ્તુત કેસમાં 78 મુદત પડી છે અને ટ્રાયલમાં કોઇ નોંધપાત્ર પ્રગતિ થઇ નથી. જે પણ એક રીતે આરોપીને લાંબા સમય સુધી જેલમાં રાખવા જેવું છે.
આ મામલે કાયદાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખતાં અને ભારતીય બંધારણ હેઠળના સ્વતંત્રતા અંગેના મૂળભૂત અધિકારના હનન સમાન છે.પરિણામે કોર્ટ માને છે કે અરજદારની તરફેણમાં આદેશ કરવાનો આ ફીટ કેસ જણાય છે. ઉક્ત અવલોકન સાથે હાઇકોર્ટે સુરતના મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના અનુસંધાને અરજદાર આરોપીને રૂૂ. 15 હજારના પર્સનલ બોન્ડ પર જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે.
આ કેસમાં આદેશ કરતાં હાઇકોર્ટના જસ્ટિસ ગીતાબહેન ગોપીએ નોંધ્યું હતું કે, આ કેસની ટ્રાયલના રોજનામાને ધ્યાને લેવામાં આવે તો એમાં પ્રોસિક્યુશન 30-04-2022એ શરૂૂ કરાયું હતું, પરંતુ ટ્રાયલની કાર્યવાહીમાં કોઇ નોંધપાત્ર પ્રગતિ જોવા મળી નથી. લગભગ 78 મુદતો પડી ચૂકી છે, તેથી કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતો અને બંધારણના અનુચ્છેદ 21 હેઠળ મળેલા વ્યક્તિ સ્વાતંત્ર્યના મૂળભૂત હકોને ધ્યાનમાં લેતાં અરજદાર માટે આ લાંબા સમયની જેલ સમાન છે. આ કેસની ટ્રાયલમાં પણ ઝડપ આવે એવી શક્યતા ઓછી હોવાથી કોર્ટ અરજદારની તરફેણમાં આદેશ કરતાં તેને જામીન પર મુક્ત કરવાનો આદેશ કરે છે. હાઇકોર્ટે સંબંધિત નીચલી અદાલતમાંથી રિપોર્ટ પણ મગાવ્યો હતો. સુરતની કોર્ટમાંથી આ રિપોર્ટ મળ્યો હતો અને કોર્ટે એવું પણ અવલોકન કર્યું હતું કે, સંબંધિત કોર્ટ સમક્ષ અનેક કેસો નિકાલ માટે પેન્ડિંગ છે.