અમદાવાદ-કલોલ હાઇવે ઉપર ટ્રાફિક જામમાં 45 મીનિટ સુધી ફસાયેલા ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ પિતો ગુમાવ્યો હતો અને પોલીસ તેમજ માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ ઉપર બરાબરના બગડ્યા હતા.
કલોલ-મહેસાણા હાઈવે પર ચાલી રહેલા ઔડાના ખોદકામના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ જામમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંદાજે 45 મિનિટ સુધી ફસાઈ ગયા હતા. હાઈવે પર ન તો ડાઈવર્ઝનનું કોઈ બોર્ડ હતું કે ન તો ટ્રાફિક કંટ્રોલ કરવા કોઈ પોલીસ જવાન હાજર હતો. આ બેદરકારી જોઈને અકળાયેલા નીતિન પટેલ સીધા જ કલોલ તાલુકા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. જોકે, ત્યાં મોટા પોલીસ અધિકારીઓની ગેરહાજરી જોઈને તેમણે હાજર સ્ટાફને બરાબરનો ખખડાવ્યો હતો. આખરે તેમણે જિલ્લા પોલીસ વડા (SP) અને માર્ગ-મકાન વિભાગના સચિવને ફોન કરીને તાત્કાલિક ટ્રાફિક વ્યવસ્થા કરવા કડક સૂચના આપી હતી.
આશ્ચર્યની વાત એ હતી કે, જ્યાં ખોદકામ ચાલી રહ્યું હતું ત્યાં વાહનચાલકો માટે ડાઈવર્ઝન કે ચેતવણી આપતું કોઈ જ બોર્ડ મૂકવામાં આવ્યું ન હતું. આટલો મોટો ટ્રાફિક જામ હોવા છતાં તેને ક્લિયર કરવા માટે રસ્તા પર પોલીસના કોઈ માણસો હાજર ન હતા.ટ્રાફિકમાં ફસાઈને પરેશાન થયેલા નીતિન પટેલનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. તેઓ આ બેદરકારી અંગે રજૂઆત કરવા સીધા જ કલોલ તાલુકા પોલીસ સ્ટેશન પહોંચી ગયા. પરંતુ ત્યાં જઈને તેમનો ગુસ્સો વધુ ભભૂકી ઉઠ્યો, કારણ કે પોલીસ સ્ટેશનમાં ન તો કોઈ DySP હાજર હતા કે ન તો કોઈ પોલીસ ઈન્સ્પેક્ટર આખરે તેમણે પોલીસ મથકમાં હાજર અન્ય સ્ટાફ પર પોતાનો રોષ ઠાલવ્યો હતો. તેમણે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, એક તરફ દેશના વડાપ્રધાન લોકોને ઈંધણ બચાવવાની અપીલ કરે છે અને બીજી તરફ તંત્રની આવી બેદરકારીના કારણે હજારો વાહનોનું ઈંધણ ટ્રાફિકમાં બરબાદ થઈ રહ્યું છે.
પોલીસ સ્ટેશનમાં કોઈ જવાબદાર અધિકારી ન મળતાં, નીતિન પટેલે ત્યાંથી જ સીધો ગાંધીનગર જિલ્લાના પોલીસ વડા (જઙ) અને માર્ગ-મકાન વિભાગના સચિવને ફોન જોડ્યો હતો. તેમણે ફોન પર જ બંને ઉચ્ચ અધિકારીઓને હાઈવે પર ટ્રાફિક અને ખોદકામ અંગેની ગંભીર બેદરકારીની જાણ કરી હતી. તેમણે અધિકારીઓને આ મામલે તાત્કાલિક યોગ્ય ડાઈવર્ઝન અને ટ્રાફિક પોલીસની વ્યવસ્થા કરવા માટે કડક શબ્દોમાં સૂચના આપી હતી.
