કલેક્ટરના અધ્યક્ષસ્થાને ત્રણ અધિકારીઓની સમિતિને બજાર કિંમત નક્કી કરવાની સત્તા
અંતિમ જાહેરનામા પહેલા જમીનનો બજારભાવ નક્કી કરવો ફરજિયાત
ગુજરાત સરકારે જમીન સંપાદન પ્રક્રિયાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે એક મહત્વનો ઠરાવ પસાર કર્યો છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ જમીન સંપાદન, પુન:સ્થાપન અને પુનર્વસનના કાયદા હેઠળ ઊભા થતા વિવાદો અને વિલંબને ટાળવાનો છે. આ માટે, સરકારે અગાઉના 2 પરિપત્રોને રદ કરીને એક નવી 3 સભ્યોની જમીન સંપાદન મૂલ્યાંકન સમિતિ (કઅટઈ)ની રચના કરી છે, જે જમીનના બજાર ભાવ નક્કી કરશે.
ગુજરાત સરકારે જમીન સંપાદનની પ્રક્રિયામાં થતા વિલંબ અને વિવાદોને દૂર કરવા માટે 14 ઓગસ્ટ, 2025ના રોજ એક નવો ઠરાવ બહાર પાડ્યો છે. આ ઠરાવ દ્વારા 2014 અને 2022ના અગાઉના પરિપત્રોને રદ કરવામાં આવ્યા છે. હવે, કાયદાની કલમ-26 હેઠળ બજાર કિંમત નક્કી કરવા માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષતા હેઠળ એક નવી ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી) અને નગર નિયોજક (વર્ગ-1)નો સમાવેશ થાય છે. આ પગલાથી જમીન સંપાદનની પ્રક્રિયા ઝડપી બનશે અને સંપાદક સંસ્થાઓ પરનું નાણાકીય ભારણ પણ ઘટશે.
અગાઉની જમીન સંપાદન પ્રણાલીમાં બજાર કિંમત નક્કી કરવા માટે લેન્ડ પ્રાઇસ કમિટીની રચના થતી હતી. જોકે, આ પ્રક્રિયામાં ઘણીવાર સ્પષ્ટતાનો અભાવ હતો કે કયા તબક્કે બજાર કિંમત નક્કી કરવી. આ વિલંબને કારણે માત્ર સંપાદન કાર્યવાહીમાં જ મોડું થતું નહોતું, પરંતુ તેના કારણે સંપાદક સંસ્થાઓ પર વધારાનો નાણાકીય બોજ પણ આવતો હતો, જે વિકાસ કાર્યોને અટકાવતો હતો.
આ સમસ્યાઓના સમાધાન માટે, સરકારે જમીન સંપાદન મૂલ્યાંકન સમિતિની સ્થાપના કરી છે. આ સમિતિનો ઉદ્દેશ જમીન સંપાદન કાયદાની કલમ-26 હેઠળ બજાર કિંમત નક્કી કરવા માટે કલેક્ટરને મદદ કરવાનો છે. આ નવી સમિતિમાં અધ્યક્ષ: જિલ્લા કલેક્ટર અથવા નિયુક્ત અધિકારી, સભ્ય-1: નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી), તથા સભ્ય-2: નગર નિયોજક, વર્ગ-1નો સમાવેશ કરાયો છે. આ સમિતિએ કાયદાની કલમ-11(1) હેઠળ પ્રાથમિક જાહેરનામું બહાર પાડ્યા પછી, પરંતુ કલમ-19(1) હેઠળ અંતિમ જાહેરનામું બહાર પાડતા પહેલાં, જમીનનો બજાર ભાવ નક્કી કરવો ફરજિયાત છે. આ સમયમર્યાદા નક્કી કરવાથી બિનજરૂૂરી વિલંબને અટકાવી શકાશે અને સમગ્ર પ્રક્રિયાને સુવ્યવસ્થિત બનાવી શકાશે. આ નવા ઠરાવથી જમીન માલિકોને પણ યોગ્ય અને સમયસર વળતર મળવાની ખાતરી મળશે, જે જમીન સંપાદન સંબંધિત વિવાદો ઘટાડવામાં મદદરૂૂપ થશે. ગુજરાત સરકારનો આ નિર્ણય રાજ્યમાં ચાલી રહેલા અને આગામી વિકાસ પ્રોજેક્ટ્સને ઝડપથી પૂર્ણ કરવામાં એક માર્ગદર્શક ભૂમિકા ભજવશે.
