શહેરના રેલનગર વિસ્તારમાં આવેલા સંતોષીનગરમાં રહેતાં અને હોટલમાં કૂક તરીકે કામ કરતાં નેપાળી યુવાને બળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પત્ની ઘર કામ કરીને પરત આવતાં પતિ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. માનસિક તનાવના કારણે આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ સંતોષીનગરમાં રહેતાં લોકબહાદુર બહાદુરભાઇ બુધ્ધા (ઉ.વ.43) નામના યુવાને સાંજે ઘરે ગળાફાંસો ખાઇ લેતાં 108 બોલાવાઇ હતી. તેના તબિબે તેમને મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ થતાં પ્ર.નગરના પીએસઆઇ ડી. એસ. ગજેરાએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર લોકબહાદુર બહાદુર ચાર ભાઈ અને ત્રણ બહેનમાં બીજાહતા. સંતાનમાં એક દિકરો અને એકદિકરી છે.
પોતે હોટેલમાં કૂક તરીકે કામ કરતાં હતાં. સાંજે પત્નિ બહારના ઘરકામ કરીને પોતાના ઘરે આવ્યા ત્યારે પતિ લટકતાં જોવા મળતાં દેકારો મચાવી મુકતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતાં અને 108 બોલાવી હતી, પણ તબિબે તેમને મૃત જાહેર કર્યા હતાં. માનસિક તણાવને કારણે પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. આ બનાવથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં નેપાળી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
