ગોંડલ તાલુકાના બાંદરા ગામનાં સીમ વિસ્તારમાં નર્મદા પાઇપ લાઇનનો વાલ વધારે ખોલવાના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયાં હતા.
અચાનક પાણી ભરાવાથી પાકને મોટું નુકસાન થયું હોવાનું ખેડૂતોનું કહેવું છે. અનેક એકર જમીનમાં પાણી ભરાઈ જતા ઊભો પાક નાશ પામ્યો છે અને લાખો રુપીયાની આર્થિક નુકસાનની થવા પામી છે.
ખેડૂતો દ્વારા જવાબદાર વ્યક્તિ સામે પગલા ભરી અને નુકસાનની સર્વે કરીને વળતર આપવા માંગ ઉઠી છે. ઘટનાની જાણ ગોંડલ તાલુકા પંચાયત તંત્રને કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ બાંદરાની સીમમાંથી પસાર થતી સૌની યોજના હેઠળની નર્મદા પાઇપ લાઇનમાં બાંદરા પાસેનાં સંમ્પ માંથી ચેકડેમ ભરવા પાણી છોડાયું હતું. બે દિવસથી નુકશાની વગરનું સમતલ પાણી વહેતુ હતું. પરંતુ આજે પાણીનાં ફુવારા સાથે મોટા પ્રમાણમાં ધસમસતું પાણી ખેતરો માં ફરી વળતા ખેતરોનું ધોવાણ થયુ હતુ. બનાવ અંગે શાંતિભાઇ ઘોણીયા, રવિભાઈ ઘોણીયા, નાથાભાઇ ઘોણીયા સહિતનાં ખેડૂતોએ જણાવ્યું કે પાણીનાં પ્રવાહે અમારાં બંધ પાળા તોડી નાખ્યાં છે. ચોમાસાનાં વરસાદ થી ના ભરાય એટલું પાણી ખેતરોમાં ભરાયું છે. જેને કારણે ઘઉ,ધાણા,તુવેર સહીતનાં પાકને નુકસાન પંહોચ્યું છે.પાણીને કારણે સાત થી આઠ ખેતરોમાં નુકસાન પંહોચ્યું છે. બનાવ અંગે સૌની યોજના અંતર્ગત તંત્ર ને પુછતા કોઈ એ વધુ વાલ્વ ખોલી નાખ્યો હોવાનું જણાવ્યું હતું.
