મુળ કાલાવડના વતની અને હાલ પરિવાર સાથે મેટોડામાં રહેતાં 33 વર્ષના યુવાનનું રાજકોટમાં મવડી વિસ્તારની લક્ષ્મણ ટાઉનશીપમાં મોડી રાતે ચોથા માળેથી પટકાતાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું છે.વધુ વિગતો મુજબ મવડી 80 ફુટ રોડ પર લક્ષમણ ટાઉનશીપમાં એક અજાણ્યો યુવાન ચોથા માળેથી પડી જતાં ગંભીર ઇજા થયાની જાણ થતાં 112 જનરક્ષક ઇન્ચાર્જ પાર્થભાઇ સોજીત્રા સહિતના પહોંચ્યા હતાં. કોઇએ 108 પણ બોલાવી હતી. તેના ઇએમટી તબિબ તેજલબેન વાજાએ આ યુવાનને મૃત જાહેર કરતાં તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં એએસઆઇ નિલેષભાઇ ચાવડા સહિતે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. પોલીસે મૃતક પાસેથી મળેલા ફોન તથા બીજા કાગળોને આધારે તપાસ કરતાં તેના વાલીવારસ મળી આવ્યા હતાં. મૃત્યુ પામનાર યુવાન મુળ કાલાવડનો અને હાલ મેટોડાની આસ્થા સોસાયટીમાં રહેતો મનિષભાઇ રમણિકભાઇ ધોળકીયા-કુંભાર (ઉ.વ.34) હોવાનું ખુલતાં પોલીસે તેમના પરિવારજનોને બોલાવી કાર્યવાહી બાદ મૃતદેહ સોંપ્યો હતો.
મૃત્યુ પામનાર મનિષભાઇ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો હતો. તે હાલ મેટોડા આસ્થા સોસાયટીમાં પત્નિ અને દિકરા-દિકરી સાથે રહેતો હતો.રાજકોટ લક્ષમણ ટાઉનશીપમાં તે મોડી રાતે શું કરવા આવ્યો હતો? ચોથા માળે કોઇ પરિચીતને મળવા આવ્યો હતો કે પછી બીજા કોઇ કામે? તે અંગે તપાસ થઇ રહી છે. કોઇ કારણોસર ભાગવા જતાં પડી ગયાની પણ ચર્ચા થઇ રહી છે. આ અંગેની વધુ તપાસ તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં પીએસઆઇ કે. એચ. કારેણાએ હાથ ધરી છે.
