જામનગર શહેરમાં પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે, ત્યારે કાલાવડ નાકા બહારના વિસ્તારના રમજાન માસ દરમિયાન વેપાર ધંધા ચાલુ રાખવા દેવામાં આવે, તેવી જામનગર શહેરના મુસ્લિમ અગ્રણીઓ દ્વારા સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં રજૂઆત કરવામાં આવી છે.
બે દિવસ આગઉ પાંચ હાટડી વિસ્તારમાં માથાકૂટ બાદ સિટી-એ ડિવિઝન પોલીસ દ્વારા પરિસ્થિતિ કાબુમાં લેવા માટે પાંચ હાટડી વિસ્તારમાં હોટલ, ખાણી પીણી ની લારીઓ, ચા-પાન ગલ્લા સહિત તમામ ધંધા બંધ કરી દેવાયા હતા. ત્યારબાદ, પાંચ હાટડી વિસ્તારમાં રમઝાન માસ દરમ્યાન વેપારીઓને મોડી રાત સુધી વેપાર-ધંધો ચાલુ રાખવાની મંજૂરી મળે તે હેતુથી સ્થાનિક મુસ્લિમ અગ્રણીઓ અને પાંચહાટડી વિસ્તારના વેપારીઓ દ્વારા સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી હતી.
આ તકે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પી.આઇ. નિકુંજસિંહ ચાવડા ને લેખિત તથા મૌખિક રીતે રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ, પીઆઇ નિકુંજસિંહ ચાવડા દ્વારા યોગ્ય અને સંતોષકારક જવાબ આપી સમગ્ર પોલીસ સ્ટાફ તરફ થી પૂરતો સાથ-સહકાર મળશે તેવી ખાતરી પણ આપી હતી, અને કોઇપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને, અને કોઇ પણ બનાવ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અને તકેદારી રાખવા સૂચન આપી હતી.
આ તકે જામનગરની જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ હાજી અબ્દુલરશીદભાઇ લુશવાલા, મુસ્લિમ સમાજની મહિલા અગ્રણી સહારાબેન મકવાણા, બુલંદી ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ અસલમભાઇ સોરા, મોશીનભાઇ ખફી, પાંચ હાટડી વિસ્તારના વેપારી અને કસાઇ સમાજ ના અગ્રણી નુરમામદભાઇ કસાઇ, ભૂરાભાઇ કસાઇ, બાબરભાઇ લાખા અને નદીમભાઇ બાબી સહિત મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ તરફ થી મળેલી સકારાત્મક પ્રતિસાદને પગલે મુસ્લિમ અગ્રણીઓ અને પાંચહાટડી વિસ્તારના વેપારીઓમાં ખુશીની લાગણી છવાઇ ગઈ હતી.
