શહેરના મોરબી રોડ પર બજરંગ પાર્કમાં રહેતાં અને મહાનગરપાલિકામાં ઢોર ડબ્બામાં નોકરી કરતાં કર્મચારીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. મૃતક પ્રૌઢ સવારે તબિયત સારી ન હોવાનો પરિવારને જણાવ્યા બાદ આ પગલું ભરી લીધું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ જકાતનાકા પાસે આવેલા બજરંગ પાર્ક શેરી નં.2માં રહેતાં અરવિંદભાઈ મોહનભાઈ રાઠોડ (ઉ.52) નામના પ્રૌઢ આજે સવારે પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં બી-ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક અરવિંદભાઈ ચાર ભાઈ એક બહેનમાં વચેટ અને મહાનગરપાલિકામાં ઢોર ડબ્બામાં નોકરી કરતાં હોવાનું જાણવા મળ્યું છે. તેમને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. આજે સવારે તેઓએ તબિયત સારી ન હોવાનું પરિવારને જણાવ્યું હતું. ત્યારબાદ આ પગલું ભરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
