ગણેશ પંડાલોને ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનો અને ડેકોરેશનમાં રી-સાયકલ મટીરીયલનો ઉપયોગ કરવા આહ્વાન
રાજ્ય સરકારની પ્રશંસનીય પહેલ એટલે ગણેશ મહોત્સવને શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવેલ છે. ઈકો-ફ્રેન્ડલી ગણેશ પંડાલ અને ‘ફિટ ઇન્ડિયા’ મૂવમેન્ટને વધુ વેગવંતુ બનાવવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રતિયોગિતાના મૂળ ઉદેશ્યમાં એક માપદંડ સ્વચ્છતાનો છે. શહેરમાં આયોજિત ગણેશ પંડાલમાં આવતા શહેરીજનો સ્વચ્છતા અંગે જાગૃત થાય અને સ્વચ્છતાને અપનાવે તેવા ઉદેશ્યથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ આયોજકોને એક અપીલ કરવામાં આવે છે.
આ વર્ષે રાજકોટ શહેરમાં ગણેશોત્સવ માત્ર ભક્તિનો જ નહીં પરંતુ જવાબદારીનો પણ ઉત્સવ બનાવીએ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના દરેક ગણેશ પંડાલોને ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનો ઉપયોગ કરવા, કચરાનું યોગ્ય વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા, ગણેશ પંડાલમાં ડેકોરેશનમાં પ્લાસ્ટિકનો અને થર્મોકોલનો ઉપયોગ ન કરવા અને તેની જગ્યાએ પર્યાવરણને અનુકુળ તેમજ રી-સાયકલ થઇ શકે તેવા મટીરીયલનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવે છે, જેથી બાપ્પાની પવિત્ર ઉપસ્થિતિ શહેરને વધુ સ્વચ્છ અને હરિયાળું બનાવશે.
રાજકોટ શહેરમાં ગણેશ મહોત્સવનું આયોજન કરતા વિવિધ ગણેશ પંડાલ સમિતિઓ, યુવા સેવકો, રહેણાંક સોસાયટીઓ અને વેપારીઓને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક અપીલ કરવામાં આવે છે કે તેઓ તંત્રની સાથે મળીને આ ગણેશ ઉત્સવને એક સ્વચ્છતા મહોત્સવ બનાવે. દરેક આયોજકોને જણાવવાનું કે પોતાના પંડાલના ફોટો-વિડીયો 18StepsToSwachhRajkot સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરે.
