વીરપુરમાં બનેલી ઘટના: પરિણીતાએ સારવારમાં દમ તોડતા પરિવારમાં કલ્પાંત
જેતપુરનાં વિરપુર ગામે આવેલી રામબાગ સોસાયટી પાસે ઝુપડપટ્ટીમા રહેતા પરીવારની 3 વર્ષની બાળકીએ રમતા રમતા ચા અથવા આઇસ્ક્રીમમા ઝેરી દવા ભેળવી દીધી હતી ઝેરી દવા ભેળવી દીધેલી આઇસ્ક્રીમ માતાએ ખાઇ લેતા તબીયત લથડી હતી. પરણીતાનુ સારવારમા મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ જેતપુરનાં વિરપુર ગામે આવેલી રામબાગ સોસાયટી પાસે ઝુપડપટ્ટીમા રહેતી પુજાબેન વિક્રમસિંહ નામની ર4 વર્ષની પરણીતા બપોરનાં પોતાનાં ઘરે હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી. પરણીતાને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવી હતી. જયા પરણીતાનુ મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી આ અંગે રાજકોટ સિવીલ હોસ્પીટલ પોલીસ ચોકીનાં સ્ટાફે વિરપુર પોલીસને જાણ કરતા વિરપુર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી પરણીતાનાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મેડીકલ કોલેજ ખાતે ખસેડયો હતો.
પ્રાથમીક પુછપરછમા મૃતક પુજાબેન મુળ આગ્રાની વતની હતી અને વિક્રમસિંગ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પુજાબેનને સંતાનમા એક 3 વર્ષની પુત્રી છે. પુત્રી મોનીતાએ રમતા રમતા ચા અથવા આઇસ્ક્રીમમા ઉંદર મારવાની ઝેરી ટયુબ નાખી દીધી હતી. જે ચા અથવા આઇસ્ક્રીમ ખાઇ જવાથી પુજાબેનનુ ઝેરી અસર થતા મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે વિરપુર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.