યાદ છે ને તે મોમેન્ટ? જ્યારે સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને એશિયા કપ 2025ની ફાઈનલમાં ખરાબ રીતે હરાવ્યું હતું અને ત્યારબાદ ભારતીય ટીમે ત્યારે નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ ઙઈઇ ચીફે ઘણો ડ્રામા કર્યો હતો અને ટ્રોફી લઈને મેદાનમાંથી ભાગી ગયા હતા.
રવિવારે (21 ડિસેમ્બર) દુબઈમાં અંડર-19 એશિયા કપ 2025ની ફાઈનલ મેચ રમાઈ હતી. જો કે, આ વખતે પરિણામ પાકિસ્તાનની તરફેણમાં રહ્યું અને ભારતની જુનિયર ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો. પાકિસ્તાન અંડર-19 ટીમે ભારતને 191 રને હરાવીને 12 વર્ષ બાદ આ ટ્રોફી પર કબજો જમાવ્યો. પાકિસ્તાનની જીતથી મોહસિન નકવી ખૂબ જ ખુશ જોવા મળ્યા, પરંતુ આયુષ મ્હાત્રેની ટીમે પણ તેમની સાથે એ જ કર્યું જે સૂર્યા એન્ડ કંપનીએ કર્યું હતું.
દુબઈમાં રમાયેલી ફાઈનલમાં જેવી પાકિસ્તાની ટીમ જીતની નજીક પહોંચી, ACC અને PCBના અધ્યક્ષ મોહસિન નકવી ટ્રોફી એનાયત કરવા માટે દુબઈ રવાના થયા. તેમના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાતી હતી. મેચ પૂરી થયા બાદ નકવી આયોજન સ્થળ પર હાજર હતા અને પોડિયમ પર ઊભેલા હતા, પરંતુ ભારતીય ખેલાડીઓએ તેમને અવગણ્યા હતા.
મોહસિન નકવીના હાથે મેડલ લેવાને બદલે ભારતની અંડર-19 ટીમે ઈંઈઈના એસોસિયેટ મેમ્બર ડાયરેક્ટર મુબશ્શિર ઉસ્માની પાસેથી રનર-અપ મેડલ સ્વીકારવાનું યોગ્ય માન્યું. રસપ્રદ વાત એ રહી કે, ભારતીય ખેલાડીઓ તે મંચ સુધી પણ ન ગયા જ્યાં મોહસિન નકવી ઉભા હતા. તેમણે પોડિયમથી દૂર જમીન પર જ પોતાના મેડલ સ્વીકાર્યા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન ફરી એકવાર એશિયા કપમાં લાચાર દેખાયા અને ભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનું તેમનું સપનું ફરી એકવાર અધૂરું રહી ગયું.
