શહેરનાં સામાકાંઠે ભાવનગર રોડ પર આવેલા શિવાજીનગરમાં રહેતી 14 વર્ષિય સગીરાએ મોટી બહેન સાથે કામ બાબતે ઝઘડો થતાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ, ભાવનગર રોડ પર આવેલા શિવાજીનગર શેરી નં.16/21માં રહેતી જાગૃતિ ગોરધનભાઈ શિયાળ (ઉ.14) નામના સગીરાએ આજે સવારે પોતાના ઘરે છતના હુંકમાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનોને જાણ થતાં પુત્રીને નીચે ઉતારી બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે ફરજ પરના તબીબે તેને જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી થોરાળા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક જાગૃતિ એક ભાઈ ચાર બહેનમાં નાની હતી અને તેના પિતા ભંગાર વિણવાનું કામ કરે છે. જાગૃતિને તેની મોટી બહેન કોમલ સાથે કામ બાબતે ઝઘડો થયો હોય જેથી લાગી આવતાં આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.
