મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાની વતની અને હાલ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ખીરી ગામની સીમ વિસ્તારમાં રહીને ખેત મજૂરી કામ કરતી ધુળકીબેન અનિલભાઈ ગણાવા નામની 19 વર્ષની પરપ્રાંતિય શ્રમિક યુવતીએ પોતાના પતિ વિના રહેવું ગમતું ન હોવાથી મનમાં લાગી આવતાં પોતાની વાડીમાં પડેલી જંતુનાશક દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
જેથી તેણીને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જયાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવવાની દિનેશભાઈ ભુરાભાઈ બામણીયાએ પોલીસને જાણ કરતાં જોડિયાના પીએસઆઇ કે.ડી. જાડેજા બનાવના સ્થળે અને ત્યારબાદ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે તપાસ હાથ ધરી હતી.
મૃતક યુવતી નો પતિ અનિલ ગણાવા કે જે ગત 23મી તારીખે ધ્રોળ તાલુકાના હરીપર ગામમાં રહેતા તેના બનેવીને ત્યાં મગફળી કાઢવાનું કામ કરવા માટે ગયો હતો, અને સાંજે મોડું થઇ જતાં ત્યાં જ હરીપર ગામે રોકાઈ ગયો હતો. પરંતુ ધુળકીબેનને તે પસંદ ન હતું, અને પતિ વિના એકલું રહેવું ગમતું ન હોવાથી પાછળથી આ પગલું ભરી લીધું હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.
