1200 મીટર જમીનમાં ખડકાયેલા 20 જેટલા ગેરકાયદે મકાનો તોડી પડાશે
રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલ બાપા સીતારામ ચોક નજીક પશ્ચિમ મામલતદાર દ્વારા રૈયા ગામની યુએલસી ફાજલ પ્લોટ સર્વે નંબર 156 પૈકીની પાંચ હજારના ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. ત્યારબાદ હવે અનઅધિકૃત રીતે ખડકાયેલા 20 જેટલા બાંધકામોને તોડી પાડવા માટે પશ્ચિમ મામલતદાર શનિવારના રોજ ડિમોલેશન હાથ ધરવાના છે જેમાં અંદાજિત કેટલા 1200 ચોરસ વાર જમીન ખુલી કરવામાં આવશે જેની બજાર કિંમત અંદાજિત 12 કરોડથી વધુ થવા જાય છે.
પશ્ચિમ મામલતદાર કચેરીના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર રૈયા સર્વે નંબર 156 પૈકીની પૈકીની આ જમીનમાં 1200 ચોરસ મીટર જમીન ઉપર લાંબા સમયથી 20થી વધુ પાકા મકાનો ઓરડિયો સહિતના બાંધકામો ગેરકાયદેસર રીતે ખડકાયા છે. જેને અન્વયે પશ્ચિમ મામલેદાર તંત્ર દ્વારા આ બાંધકામને તોડી પાડવા માટે નોટિસો ફટકારવામાં આવી હતી. હવે આ ગેરકાયદે બાંધકામો આગામી શનિવારના રોજ મામલતદારની ટીમ દ્વારા તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય એ છે કે એક મહિના પહેલા જ પશ્ચિમ મામલતદાર અજીત જોશી દ્વારા રૈયા રોડ સર્વે નંબર 156 પૈકી 5000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જેમાં ગેરેજ, ઓરડીયો સહિતના વર્ષોથી ગેરકાયદેસર બાંધકામો મામલતદાર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા ત્યારે ફરી એક વખત પશ્ચિમ મામલતદાર દ્વારા ત્યાં આજુબાજુમાં રહેલા દબાણ અંગે નોટિસ આપતા જ રહેવાસીઓમાં પણ ફફડાટ મચી પામ્યો હતો અને આગામી શનિવારે 1200 જેટલી ચોરસ મીટર જેટલી જમીન ખુલી કરવામાં આવશે.
