ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ધોળો હાથી બની રહ્યો છે. ખુદ સરકારે સ્વીકાર્યું છે કે, 2.32 કરોડ રૂૂપિયા જેટલી માતબર રકમ ભાડા પેટે બાકી છે. લાખો રૂૂપિયા ભાડું બાકી હોવા છતાંય સરકાર ગુલ્લાં તલ્લાં કરી સમય વ્યતિત કરી રહી છે.
વિધાનસભા ગૃહમાં મહાત્મા મંદિરનો મુદ્દો ગાજ્યો હતો. વિપક્ષે એવો આક્ષેપ કર્યો કે, સામાન્ય રીતે પાર્ટી પ્લોટ ભાડે લેવો હોય તો એડવાન્સ આપવું પડે છે. જ્યારે મહાત્મા મંદિરમાં લાખો રૂૂપિયા ભાડુ બાકી છે ત્યારે વસૂલાત માટે સરકાર જાણી જોઈને ઢીલાસ દાખવી રહી છે. એવો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે, મહાત્મા મંદિરનું મેઇન્ટેનન્સ એટલું વધુ છે કે ગમે તે ઘડીએ તાળાં વાગી જશે. વિપક્ષના મતે, મહાત્મા મંદિરનો ઉપયોગ સરકારની વાહવાહી માટે જ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે એડવાન્સ ચૂકવવા તૈયારી દર્શાવી તેમ છતાં મહાત્મા મંદિર ભાડે અપાયુ નહીં. છેલ્લાં ત્રણ વર્ષમાં મહાત્મા મંદિરના બાકી ભાડાની રકમ 3,33,72,076 રૂૂપિયા હતી. સરકારે એવો દાવો કર્યો કે, એક વર્ષમાં 1.01 કરોડ ભાડું વસૂલાયું છે. હજુય 2,32,72,076 ભાડું વસૂલવાનું બાકી છે.
