નમકીન કંપનીના બોઈલરમાં બ્લાસ્ટ થવાથી આગ લાગ્યાનું અનુમાન
રાજકોટ, ગોંડલ,કાલાવડ અને શાપર-વેરાવળ ફાયર બ્રિગેડની 10 ટીમની મદદથી આગ ઉપર કાબુ મેળવાયો
કુવાડવા રોડ પર નવાગામ સાત હનુમાન પાછળ આવેલા નાકરીવાડીમાં આવેલી કેબીઝેડ નામની વેફર્સ અને નમકીનની ફેક્ટરીમાં લાગેલી આગ 23 કલાકે કાબુમાં આવી હતી. આગ બુઝાવવા માટે રાજકોટ,ગોંડલ,કાલાવડ અને શાપરથી 10 જેટલા ફાયર ફાયટરની ટીમ કામે લાગી હતી. નમકીનની ફેક્ટરીમાં લાગેલી આગમાં આશરે 55 કરોડનું નુકશાન થયાનું જાણવા મળ્યું છે જયારે 1 થી સવા કરોડનો માલ બચાવી લેવામાં આવ્યો હતો. બોઈલરમાં બ્લાસ્ટ થવાની આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
નવાગામ સાત હનુમાન પાછળ આવેલા નાકરીવાડી પાસે આવલી કેબીઝેડ ફૂડ કંપનીમાં ગઈકાલે સવારે આગ લાગી હતી. જોત-જોતામાં આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું. આગના પગલે થોડો સમય અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીના એચ આર મેનેજર સત્યજીતસિંહ ઝાલાએ આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને કરતાં રાજકોટના મવડી, કનકનગર, રામાપીર ચોકડી અને કોટેચા ચોક ફાયર સ્ટેશનથી ફાયર ફાયટરની પાંચ ગાડીઓ દોડી ગઇ હતી. આગ વધુ વીકરાળ હોય ગોંડલ,કાલાવડ અને શાપર-વેરાવળથી વધુ ચાર ફાયર ફાયટર મદદ માટે બોલાવવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ એ આગ ઓલવવા માટે સતત પાણીનો મારો ચલાવી 23 કલાકે આગ પર કાબૂ મેળવ્યો હતો. મામલતદાર સહિત અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનામાં હજુ સુધી કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. કંપનીના 200થી 250 જેટલા કર્મચારી કામ કરતા હોય તમામને સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતાં. આગ વિકરાળ હોવાથી આશરે 55 કરોડનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
કરોડો રૂૂપિયાનો માલ-સામાન બળીને ખાખ થઇ ગયો છે. જોકે ફાયર બ્રિગેડે એક થી સવા કરોડનો માલ બચાવી લીધો હતો. કેબીઝેડ નમકીન કંપનીના બોઈલરમાં બ્લાસ્ટ થવાની આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન છે. ઉલ્લેખનીય છે કે કંપનીમાં પ્લાસ્ટિકનો જથ્થો અને ઓઇલ હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. અત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા 23 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
