બનાસકાંઠાના દાંતામાં કોંગ્રેસના સ્થાનિક નવનિયુક્ત પદાધિકારીઓનો શપથ સમારોહ યોજાયો હતો. જેમાં સાંસદ ગેની બહેન ઠાકોરે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતર મળતું નથી, પણ દારૂૂ કે ડ્રગ્સની હોમ ડિલિવરી થાય છે. પોલીસને તમામ જાણકારી હોવા છતાં હપ્તા ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી પહોંચે છે. જ્યારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતમાં દારૂૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે. આવનારા સમયમાં રાજ્યવ્યાપી જન આંદોલન કરાશે.
દાંતા ખાતે યોજાયેલા કોંગ્રેસના મહા સંમેલનમાં સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપના બોલવા અને વર્તવામાં રાત-દિવસનો ફર્ક છે. બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતર મળતું નથી, પણ દારૂૂ કે ડ્રગ્સની હોમ ડિલિવરી થાય છે. પોલીસને તમામ જાણકારી હોવા છતાં હપ્તા ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી પહોંચે છે.
સભાને સંબોધન કરતાં ગેનીબેને કહ્યું દારૂૂના કારણે આપણા યુવાનો બરબાદ થાય છે, આપણી બહેન-દીકરીઓ વિધવા બને છે. જો ગૃહમંત્રી આ દારૂના અડ્ડા બંધ નહીં કરાવે તો કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરવામાં આવશે. હું તો અમિતભાઈ ચાવડાને અને કોંગ્રેસ પાર્ટીને વિનંતી કરું છું કે સમગ્ર બનાસકાંઠા જિલ્લા અને રાજ્યમાં દેશી દારૂ-વિદેશી દારૂ અને ડ્રગ્સ વેચવાવાળા આ બધાનો સર્વે કરાવો. ધારાસભ્યોનું એક ડેલિગેશન જઈ મુખ્યમંત્રીને મળો કે તમારા રાજ્યમાં આટલા દેશી-ઈંગ્લિશના અડ્ડા છે, આ તમે બંધ કરાવો. અને બંધ નહીં કરાવો તો કોંગ્રેસ જનતા રેડ પાડીને આ યુવાનોને બરબાદીથી બચાવવા માટેનું કામ કરશે.
કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું 56ની છાતીની વાતો કરતા અને રાહુલ ગાંધી તથા કોંગ્રેસ નેતાઓને ગાળો દેતા વડાપ્રધાન આજે દેશના યુવાનોની અગાઉ ક્યારેય ન ખાધી હોય તેટલી ગાળો ખાઈ રહ્યા છે.લોકસભાના સત્ર દરમિયાન 19 દિવસમાં ગૃહમંત્રીને ગૃહમાં આવીને યુવાનોને જવાબ આપવાની હિંમત ચાલતી નથી. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર ભ્રષ્ટાચાર અને દારૂના વેપલા અંગે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે, જેને લઈને આવનારા સમયમાં રાજ્યવ્યાપી જન આંદોલન શરૂ કરવામાં આવશે.
