ગઈકાલે રિસામણે આવેલી પરિણીતા પાસેથી પતિ બાળક લઈ જતાં લાગી આવ્યું
રાજકોટના ઢેબર રોડ પર આવેલા લોહાનગર વિસ્તારમાં રહેતી એક 25 વર્ષીય પરિણીતાએ પારિવારિક કલેશ અને સંતાનના વિરહમાં ઉંદર મારવાનું બિસ્કીટ ખાઈ લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની વિગત મુજબ, ઢેબર રોડ ફાટક પાસે લોહાનગરમાં રહેતા પૂજાબેન કિશનભાઇ શકેરા (ઉ.વ. 25) બપોરે 12 વાગ્યાના અરસામાં ત્રિકોણબાગ પાસે આવેલા ખાદીભવન નજીક હતા, ત્યારે કોઈ કારણોસર તેમણે ઝેરી ઉંદર મારવાનું બિસ્કીટ ખાઈ લીધું હતું.
ઝેરની અસર થતા યુવતીની તબિયત લથડી હતી, જેને પગલે તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવને પગલે વિસ્તારમાં ચર્ચા જાગી છે અને પોલીસ દ્વારા પણ આ અંગે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.આ આત્મઘાતી પગલાં પાછળના કારણો તપાસતા જાણવા મળ્યું છે કે, પૂજાબેને આજથી ત્રણ વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કર્યા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર છે. તેમનું સાસરી પક્ષ એસ.ટી. વર્કશોપ પાસે ખોડિયાર નગરમાં આવેલું છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પારિવારિક અણબનાવ ચાલતો હોવાથી તેઓ ગઈકાલે જ પોતાના માવતરે રિસામણે આવ્યા હતા. પરિણીતાએ આ આત્યંતિક પગલું ભરવા પાછળનું મુખ્ય કારણ ઘરકંકાસ હોવાનું મનાઈ રહ્યું છે. પૂજાબેન પોતાના પિયર આવ્યા ત્યારે તેમના પતિ પુત્રને પોતાની સાથે લઈ ગયા હતા, જેના કારણે પૂજાબેન ભારે માનસિક આઘાતમાં સરી પડ્યા હતા.
પુત્રના વિરહ અને લગ્નજીવનમાં આવેલી ખટરાગને કારણે હતાશ થયેલા પૂજાબેને અંતે ઝેરી દવા ખાઈને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં પરિણીતા સારવાર હેઠળ છે અને તેમની હાલત પર તબીબો દેખરેખ રાખી રહ્યા છે. પ્રેમલગ્ન બાદ સુખી સંસારની આશા રાખનાર યુવતીએ માત્ર ત્રણ વર્ષમાં જ આ પ્રકારનું પગલું ભરવું પડ્યું તે ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. પોલીસે આ મામલે નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે જેથી આત્મહત્યાના પ્રયાસ પાછળના ચોક્કસ કારણો અને જવાબદાર પરિબળોની વિગતો બહાર આવી શકે.
