જૂનાગઢની આલ્ફા હોસ્ટેલ ફરી વિવાદમાં, છાત્રો સાથે મારપીટના આક્ષેપો

જૂનાગઢમાં આવેલી આલ્ફા વિદ્યા સંકુલમાં સંચાલન અને હોસ્ટેલની સુવિધાઓને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. શાળા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા શાળા પ્રશાસન, ટ્રસ્ટીઓ…

જૂનાગઢમાં આવેલી આલ્ફા વિદ્યા સંકુલમાં સંચાલન અને હોસ્ટેલની સુવિધાઓને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. શાળા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા શાળા પ્રશાસન, ટ્રસ્ટીઓ અને સ્ટાફ સામે અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. વાલીઓનો મુખ્ય આરોપ છે કે છેલ્લા બે મહિનામાં શાળાનો સમગ્ર સ્ટાફ અને ટ્રસ્ટીઓ બદલાઈ ગયા બાદ હોસ્ટેલમાં વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે.

વાલીઓએ જણાવ્યું હતું કે, હોસ્ટેલમાં રહેતા બાળકોને પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં આવતી નથી. છેલ્લા 15-15 દિવસથી લાઈટ અને પંખા બંધ રહે છે, પરંતુ તેનું સમારકામ કરાવવા માટે કોઈ યોગ્ય ઇલેક્ટ્રિશિયન રાખવામાં આવ્યો નથી. આ ઉપરાંત, રાત્રે 8 વાગ્યા પછી બાળકો માટે પીવાના પાણીના સ્ત્રોત બંધ કરી દેવામાં આવે છે. વાલીઓએ એવો પણ ગંભીર આરોપ લગાવ્યો છે કે શિક્ષકો અને રેક્ટરો દ્વારા નાના બાળકો સાથે ગેરશબ્દો અને ગાળાગાળીનો ઉપયોગ કરવામાં આવે છે. બાળકોને પિલર સાથે અથડાવીને, થપ્પડો મારીને તેમજ લાકડી વડે ઢોર માર મારવામાં આવે છે અને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવે છે.

એક કિસ્સામાં બાળકના વાંસા પર મારના નિશાન પડી ગયા હોવાનો અને સીસીટીવીમાં ઘટના કેદ થઈ હોવાનો દાવો પણ કરાયો છે. જો બાળકો આ અંગે વાલીઓને ફરિયાદ કરે તો તેમને વાલીઓ સામે બોલવા બદલ વધુ ડરાવવામાં અને ધમકાવવામાં આવે છે. વાલીઓનો આરોપ છે કે સ્ટાફ દ્વારા વાલીઓ સાથે પણ અપમાનજનક વલણ અપનાવવામાં આવે છે અને ગામડાના વાલીઓને ઓફિસમાં બેસવા બાબતે પણ તોછડાઈથી વાત કરવામાં આવે છે. દૂર-દૂરથી આવતા વાલીઓને મળવાનો સમય માત્ર બપોરે 12 વાગ્યા સુધીનો જ રાખવામાં આવ્યો છે અને જો કોઈ વાલી રજૂઆત કરવા જાય તો ગેટ પર જ બાળકના નામની નોંધ કરીને ધમકીઓ આપવામાં આવે છે. આશરે 28 જેટલી અસુવિધાઓની યાદી તૈયાર કરી વાલીઓએ હવે સરકારી કચેરીઓ અને અધિકારીઓ સમક્ષ સત્તાવાર રજૂઆત કરવાની ચીમકી આપી છે.

બીજી તરફ, આ તમામ ગંભીર આક્ષેપો સામે સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ભરતભાઈ કેસરિયાએ શાળાનો બચાવ રજૂ કરતા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે છેલ્લા બે વર્ષથી આ સંસ્થા નડિયાદના ટ્રસ્ટી પ્રતિક પટેલ દ્વારા સંચાલિત થઈ રહી છે. બાળકો સાથે કોઈ ક્રૂરતા કે હેતુપૂર્વક મારપીટ કરવામાં આવતી નથી. બાળકો નાના હોવાથી ભૂલ કરે ત્યારે રેક્ટર કે સ્ટાફ પોતાના સંતાન સમજીને તેમને માત્ર શિસ્તના ભાગરૂૂપે ટોકતા હોય છે. જો હોસ્ટેલમાં આવી વાસ્તવિકતા હોત તો તેમની પાસે 900 જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા ન હોત.

મેડિકલ ઇમરજન્સી અને બીમારી અંગે વાત કરતા કેમ્પસ ડાયરેક્ટરે જણાવ્યું કે, કોઈપણ બાળકને ઇમરજન્સી હોય ત્યારે તાત્કાલિક સારવાર આપવામાં આવે છે. હોસ્ટેલમાં એક ખાસ રજિસ્ટર રાખવામાં આવે છે જેમાં બાળકની તમામ વિગતો નોંધાય છે અને વાલીઓને ટેલિફોન દ્વારા નિયમિત જાણ કરવામાં આવે છે. રાત્રે પાણી બંધ કરવાના આક્ષેપ પર તેમણે ઉમેર્યું કે તેઓ પોતે કેમ્પસમાં હાજર હોય છે અને બાળકોને પોતાની બોટલમાં પીવાનું પાણી ભરવાની પૂરેપૂરી છૂટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *