જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખાના નિયંત્રણ હેઠળ શહેરમાંથી ગારબેજ કલેક્શન કરતા વાહનો, કે જે અતિ ખખડધજજ હાલતમાં ફરી રહ્યા છે, એટલું જ માત્ર નહીં પરંતુ તેમના ચાલકો દ્વારા શહેરમાં જોખમી સવારી ચલાવાઇ રહી છે, અને અન્ય વાહનચાલકો કે પ્રજાજનો માટે જોખમ રૂૂપ અને મોતને સમાન હોય છે, તેમ છતાં તેઓને ટ્રાફિકનો કોઈપણ કાયદો લાગુ પડતો નથી, જેનો એક નમૂનો આ ફોટોમાં જોઈ શકાય છે.
જામનગર શહેરના હાપા ઓવર બ્રીજ પર જામનગર મહાનગર પાલિકા નું ડોર-ટુ-ડોર કચરા કલેક્શન નું વાહન કે જેનો પાછલો હિસ્સો લટકતો હોય અને લોકોને જીવ જોખમ માં મૂકી આ વાહન ચાલક બિન્દાસ પણે અને આરામથી વાહન ચલાવે છે તે આ ફોટોમાં જોવા મળી રહ્યો છે. ટ્રાંફિક ના નિયમ તો માત્ર સામાન્ય પ્રજાજનો માટે હોય છે, અને તંત્ર ના વાહનો માટે શું કોઈ નિયમ નહીં ? તેવા સવાલો લોકોમાં પૂછાઇ રહ્યા છે.
જામનગર ના જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનિ કે જેઓ ટ્રાફિક નિયમનના ખૂબ જ આગ્રહી છે, અને તેઓના માર્ગદર્શન હેઠળ જામનગર શહેર અને સમગ્ર જિલ્લામાં અવિરત ટ્રાફિક ઝુંબેશ હાથ ધરીને ટ્રાફિક નિયંત્રણ કરવામાં આવી રહ્યું છે, અને ટ્રાફિક અવેરનેસના પણ અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. પરંતુ જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ શાખાના નિયંત્રણ હેઠળના આવા વાહનો, કે જેને આરટીઓના એક પણ નિયમો લાગુ પડતા નથી. આવા વાહનો કે જેની કોઈ સલામતી નથી, સંપૂર્ણપણે ખખડધજ વાહનો દોડી રહ્યા છે.
જેમાં કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ નહીં, વાહનની બહાર અનેક થેલાઓ લટકતા હોય, જેના કારણે પણ અકસ્માત થવાનો સંભવ હોય છે. સાથોસાથ આ વાહનો એટલા ક્ધડમ હાલતમાં હોય છે કે જેથી ગમે ત્યારે માર્ગો પર અકસ્માત થઈ શકે છે. એટલું જ માત્ર નહીં, આવા વાહનોના ચાલકો કે જેઓ પણ શહેરમાં બેફામ ગતિએ પોતાના વાહનો દોડાવતા હોય છે, અને તેના પર કોઈનું નિયંત્રણ નથી. જેથી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખા ના જવાબદાર અધિકારીઓની ટીમે સફાળા જાગીને આવા વાહન ચાલકો ને સ્પષ્ટ ચેતવણી આપીને જોખમી વાહનો રીપેરીંગ કરાવી લેવા, અન્યથા સેવા માંથી દૂર કરાવવા જોઈએ. અન્યથા પોલીસ તંત્ર દ્વારા પણ આવા વાહન ચાલકોના ટ્રાફિક કેસ કરીને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ લોકોમાં માગ ઉઠી રહી છે.
