શિયાળાની વિદાયને હજુ વાર છે ને બારણે વસંત ઋતુના પગલા સંભળાવા લાગ્યા છે

હેમંત અને શિશિર બંને ઋતુઓ મળીને શિયાળો બને છે. હવે તો વનરાજિના પાંદડાઓ પર પીતામ્બર જેવા પીળા રંગનો પ્રકૃતિ અભિષેક કરે છે. આ વખતે શિયાળાએ…

હેમંત અને શિશિર બંને ઋતુઓ મળીને શિયાળો બને છે. હવે તો વનરાજિના પાંદડાઓ પર પીતામ્બર જેવા પીળા રંગનો પ્રકૃતિ અભિષેક કરે છે. આ વખતે શિયાળાએ બહુ જમાવટ કરી. હજુ પણ ઠંડી ચાલુ રહેવાની છે. નાગરિકોને તો ઉત્તરાયણ જાય પછી ઠંડી પણ જશે એમ લાગે પણ ખેડૂતનો પરિવાર જાણતો હોય કે હોળીનું તાપણું તાપ્યા વિના શિયાળો કદી ન જાય. તિથિ પ્રમાણે હમણાં જ વસંત પંચમી ગઈ પરંતુ પાનખર હજુ પૂરી થઈ નથી. આ જે ઋતુઓનું વેરિવખેર થયેલું ટાઈમ ટેબલ છે એ પણ ગ્લોબલ વોર્મિંગને કારણે છે. ખરેખર તો હેમંત ઋતુ જ શિયાળાને ભોગવવાની અને ખુલ્લા આભ તળે આનંદ લેવાની મોસમ છે. અરબી સમુદ્રનું સ્વરૂૂપ બદલાયું છે. વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું છે કે ઘણા વર્ષોથી જેના ઢોલ વગાડવામાં આવે છે અને જગત આખાને જગાડવામાં આવે છે તે ગ્લોબલ વોર્મિંગના પ્રથમ પરિણામની હવે શરૂૂઆત થઈ ગઈ છે. સમુદ્રની સપાટીમાં આંશિક વધારો થયો છે.

એનું કારણ એ છે કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવનો બરફ પીગળવા લાગ્યો છે. હિમશીલાઓ વિખૂટી પડીને તરવા વાગી છે. પર્યાવરણવિદો જો કે એ વાત કહેવાનું એટલું બધું પુનરાવર્તન કરી ચૂક્યા છે કે વાઘ આવ્યો રે વાઘની જેમ હવે જયારે ખરેખર વાઘ આવ્યો છે ત્યારે એ તરફ હજુ આમ જનતાનું ધ્યાન ગયું નથી. વિશ્વભરની ઋતુઓના ચક્રમાં ફેરફાર શરૂૂ થયા છે. ભારતમાં છ ઋતુઓ છે. પૃથ્વી પર કુદરતનો અનુભવ કરવા માટેનું આવું સૌન્દર્ય વૈવિધ્ય દુનિયામાં બીજે ક્યાંય નથી. મહાકવિ કાલિદાસનું ઋતુસંહાર આપણને એ છ ઋતુઓનું અદભુત વર્ણન આપે છે. પરંતુ વિદ્વાન સંશોધકો કહે છે કે દુનિયાના અન્ય કેટલાક દેશોની જેમ ભારતમાં પણ ભવિષ્યમાં સમર અને વિન્ટર થઈ જશે. વરસાદ પણ વિન્ટરમાં, બરફ વર્ષા પણ વિન્ટરમા અને તડકો સમરમાં ! જો કે આ ફેરકાર થતા હજી દાયકાઓ અને સદીઓ વીતી જશે.

હિમાલયના પવનો આ વખતે રહસ્યમય રીતે દિશા બદલી રહ્યા છે. હવામાનશાસ્ત્રીઓ તો હજુ પણ એને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વ્યાખ્યામાં સમાવે છે. પરંતુ એવું નથી. વિશ્વના દરેક સમુદ્રના પવનો હવે વમળ જેવા ચક્રાકાર અને એ જ આગળ જતાં ચક્રવાતમાં રૂૂપાંતરિત થાય છે. આ વખતે અરબી સમુદ્ર પર પવનોના ઝંઝાવાત વારંવાર સર્જાય છે અને વિખેરાય છે. એમાંના કેટલાક પવનો વાતાવરણમાં શૂન્યાવકાશનું પણ સર્જન કરે છે. અને એ શૂન્યાવકાશમાંથી જ વરસાદી તોફાન બનીને નવા નવા નામે વાવાઝોડા આવતા રહે છે. શિયાળો આરોગ્યની ઋતુ છે, પરંતુ માત્ર એમને માટે કે જેઓ આહાર વિચારમાં સર્વ સામાન્ય નિયમોનું પાલન કરે છે. જેઓ મુક્તાહારી કે સ્વેચ્છાચારી છે, તેઓ માટે આ ઋતુ જોખમકારક છે. દુનિયાની કોઈ પણ પ્રજાનું આરોગ્ય જોવું હોય તો એટલી જ તપાસ કરવાની રહે કે શિયાળામાં દવાખાનાઓ અને હોસ્પિટલો ખાલીખમ રહે છે? એ ખાલી જ હોવા જોઈએ, કારણ કે શિયાળો પુર્ણ તંદુરસ્તીની મૌસમ છે.

શિયાળો યોગીઓને યોગ અને ભોગીઓને ભોગ આપે છે. પરંતુ આજકાલ ગુજરાતમાં જાહેર સ્વાસ્થ્ય સમસ્યાઓ છે. ખોરાકમાં જેઓ બહુ જ સાવધાની રાખતા નથી, તેમનામાં લાંબા ગાળા સુધી આપત્તિ નોંતરનારા નાના નાના અનેક રોગો પ્રવેશી જવાની સંભાવના છે. અત્યારે પવનની દિશા ઉત્તરથી દક્ષિણ હોવી જોઈએ, પરંતુ એમ છે નહીં. મધ્યરાત્રિ પછી થોડીવાર માટે પવન શિયાળાની દિશામાં પ્રવેશે છે. સવાર થતાં સુધીમાં તો પવન ફરી પૂર્વ-પશ્ચિમના થઈ જાય છે. પવન માટે પૂર્વ પશ્ચિમનો માર્ગ તો માત્ર ઉનાળામાં જ કુદરત પસંદ કરે છે. હજુ તો આ ઋતુઓમાં આવતા પ્રારંભિક પરિવર્તનો છે. આપણુ શરીર સહસ્ત્રાબ્દિઓથી શિયાળે ઠરવા માટે, ઉનાળે તપવા માટે અને ચોમાસે પલળવા માટે ઘડાયેલું છે.

આ ક્રમમાં જે ફેરફાર થઈ રહ્યો છે હવે તે માનવ શરીરની આંતર રચનામાં મોટો ઉત્પાત મચાવનાર છે. આ સંકટમાં એ જ લોકો બચી શકે છે કે જેઓ અલ્પાહારી હોય. અને સર્વ પ્રકારના સંયમ જેમણે સિદ્ધ કરેલા હોય. એનો અર્થ એ છે કે હવે આરોગ્ય સાચવવું એ રમતા રમતા સચવાઈ જતી વસ્તુ નથી. પ્રાકૃતિક આહાર લેતો મનુષ્ય જ પ્રકૃતિના બદલાતા રૂૂપરંગ સાથે અનુકૂલન સાધી શકશે. આપણા સમાજે અને આખી દુનિયાએ એક વાત હવે સ્વીકારવી પડશે કે આરોગ્યની ચાવી ડોક્ટર પાસે નથી, કિસાન પાસે છે. ડોક્ટર પાસે તો અશુદ્ધ આહારથી થતા રોગોના ઉપાયો અને ઉપકરણો છે. ડોક્ટર જો સંનિષ્ઠ હોય તો એ માનવમિત્ર છે. જો ડોક્ટરમાંથી સેવાભાવના બાદ થઈ જાય તો એ લોકોના દુ:ખમાંથી પોતાનું સુખ શોધતો સામાન્ય શખ્સ બની જાય છે.

આરોગ્યનો ખરો દાતા તો અન્નદાતા જ હોઈ શકે અને એ જ છે. આપણે ત્યાં સમાજ ખેડૂતોને કેમ વીસરી જાય છે તે એક ન સમજાતો કોયડો છે. જે માતા બાળકને જન્મથી પરિપોષણ આપે છે એ માતા બાળકના ઘડતર માટે સો શિક્ષક સમાન કહેવાય છે. એ બાળક મોટું થાય કે પછી પશુપાલકો માતાની જવાબદારી ઉપાડે છે. સ્ત્રીઓ વાતો કરે છે કે હવે બાળક બહારનું દૂધ પીવે છે. બહારનું દૂધ એટલે ? દુનિયામાં બહાર ક્યાંય દૂધ થતું નથી. ગાય વગેરે દુધાળા પશુઓ એના સંતાનોની માતા તરીકે જે દૂધ આપે છે એ દૂધ માનવબાળ પીવે છે. એટલે કે જનનીના દૂધને બદલે બીજા બાળપ્રાણીની માતાનું દૂધ એ પીવે છે. એ દૂધ મૂળમાં તો પશુપાલકો જ ઘર આંગણે સુલભ બનાવે છે. વળી આ પશુપાલક મહાન એટલે છે કે મનુષ્યને આખી જિંદગી એ દૂધ પહોંચાડે છે. વળી બાળક એ ’બહારના’ દૂધ વડે વધું મોટું થાય પછી ખેડૂતોને ખોળે આવે છે. અનાજ, કઠોળ, શાકભાજી અને ફળફળાદિની વિરાટ દુનિયામાં ખેડૂત એ બાળકને લઈ આવે છે અને જીવનભર નિભાવે છે. આ ખેડૂત કેમ સો શિક્ષક સમાન નહિ એ તો કહો. માણસના અસ્તિત્વની આધારશિલા એક તો ઓક્સિજન છે એ હમણાં બધાને ખબર પડી પણ બીજી આધારશિલા ખેડૂતો છે એ ક્યારે ખબર પડશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *