પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની કટોકટીનો આજે છઠ્ઠો દિવસ છે. 8 ડિસેમ્બરને સોમવારે ગુજરાતમાં ઈન્ડિગોની 26 ફ્લાઈટ કેન્સલ થઈ છે. રાત્રિના 12થી સવારના 9 વાગ્યા સુધીમાં અમદાવાદની 18, રાજકોટની 4, સુરતની 3 અને વડોદરાની 1 ફ્લાઈટ રદ થવાની માહિતી મળી રહી છે.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્ડિગો એર લાઇન્સની આજની રાજકોટથી મુંબઈ, ગોવા, હૈદરાબાદ, બેંગલુરુની ફ્લાઈટ રદ થતાં મુસાફરોમાં ભારે રોષ છે. શુક્રવારે રાજકોટ એરપોર્ટ પરથી ઈન્ડિગોની તમામ 8 ફ્લાઈટ રદ થઈ હતી. શનિવારે 8માંથી એક ફ્લાઈટ રદ થઈ હતી. રવિવારે 9માંથી 5 ફ્લાઈટ કેન્સલ થઈ હતી તો આજે 8 ડિસેમ્બરના 8માંથી 4 ફ્લાઇટ રદ થતાં મુસાફરોનો ગુસ્સો સાતમા આસમાને છે.
અમદાવાદ એરપોર્ટ પરથી મળતી માહિતી મુજબ, આજે 9 વાગ્યા સુધીમાં ઇન્ડિગોની 18 ફ્લાઇટ કેન્સલ થઈ છે, જેમાં નવ આવતી અને નવ જતી ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ એરપોર્ટની વેબસાઈટ પર આજની દિવસભરની કુલ 44 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે, જેમાં અમદાવાદથી ઉડાન ભરતી 23 અને આવતી 21 ફ્લાઈટનો સમાવેશ થાય છે.
ઈન્ડિગો એર લાઇન્સનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, 8 ડિસેમ્બરની રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ગોવાની 12.05 વાગ્યાની અને રાજકોટથી દિલ્હીની 17.55ની ફ્લાઈટ આજે એકાએક રદ જાહેર થઈ છે. જ્યારે રાજકોટથી હૈદરાબાદની 15.55 વાગ્યાની તો મુંબઈની 16.55ની ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે.
આ સિવાય આજે 8 ડિસેમ્બરના ઈન્ડિગોની રાજકોટથી મુંબઈની 9 વાગ્યાની, રાજકોટથી બેંગલુરુની 16.15 વાગ્યાની, અને મુંબઈની 19.55 વાગ્યાની ફ્લાઈટ ઉડાન ભરશે. એર ઇન્ડિયાની સવારની 8.35 વાગ્યાની મુંબઈ, 18.05 વાગ્યાની મુંબઈ અને 20.08 વાગ્યાની દિલ્હીની ફ્લાઈટ રાબેતા મુજબ ચાલુ છે.
