ડિફેન્ડિંગ ચેમ્પિયન અને વર્લ્ડ નંબર-વન ભારત નો ટી-20 વર્લ્ડ કપમાં હાઇએસ્ટ સ્કોર 4/218 છે અને આ ટોટલ 19 વર્ષથી ભારતીય ટીમના નામે સર્વોત્તમ રહ્યું છે, ગુરુવારે દિલ્હીમાં નામિબિયા સામેની મેચમાં એ રેકોર્ડ તોડવાનો સૂર્યકુમાર યાદવ ઍન્ડ કંપનીને બહુ સારો મોકો છે. આનું સૌથી મોટું કારણ એ છે કે ખુદ સૂર્યા તેમ જ ઇશાન કિશન, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિન્કુ સિંહ વગેરે બેટ્સમેનો સારા ફોર્મમાં છે અને તેઓ ટી-20 વર્લ્ડ કપમાં પહેલી વાર 300 રનનો ટીમ-સ્કોર નોંધાવશે તો પણ નવાઈ નહીં લાગે.
ભારતે ચાર વિકેટે 218 રન 2007ના પ્રથમ વિશ્વ કપમાં ઇંગ્લેન્ડ સામે બનાવ્યા હતા. આ ફોર્મેટના વર્લ્ડ કપમાં ભારતે સતત નવ મેચ જીતી છે અને એ નવો વર્લ્ડ રેકોર્ડ છે. આ નવમાંથી આઠ વિજય ભારતે 2024ના ગયા વિશ્વ કપમાં મેળવ્યા હતા. એ સાથે ભારતે ઑસ્ટ્રેલિયાનો સતત આઠ વિજયનો રેકોર્ડ તોડ્યો છે જે કાંગારુઓએ 2022થી 2024 સુધીના બે વર્લ્ડ કપમાં નોંધાવ્યો હતો.
પ્રેક્ટિસમાં બુધવારે ઇશાન કિશનને કમબેકમેન બુમરાહનો બોલ પગમાં વાગ્યો હતો. ઇશાન બેટિંગ છોડી દીધા બાદ પાછો રમવા આવ્યો હતો, પણ બહુ લાંબો સમય મેદાન પર નહોતો. અભિષેક પેટની બીમારીને લીધે હોસ્પિટલમાં દાખલ થયો ત્યાર બાદ તેની તબિયત હજી સારી ન હોવાથી તેના વિકલ્પ તરીકે સંજુ સેમસનને રમવા તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે. ટી20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પોતાની બીજી મેચ રમશે.
નામિબિયાના ખેલાડીઓ રાત્રે રમી શકતા નથી
ભારત અને નામિબિયા T-20 વર્લ્ડ કપ 2026 ની 18 મી મેચમાં આજેે ટકરાશે. આ મેચ પહેલા એક મોટો વિવાદ ઉભો થયો છે. નામિબિયાના કેપ્ટન ગેરહાર્ડ ઇરાસ્મસે ICC પર ભારત સામેની મેચ પહેલા એક પણ રાત્રિ પ્રેક્ટિસ સેશનની મંજૂરી ન આપવા બદલ સવાલ ઉઠાવ્યા હતા. ઇરાસ્મસે એ હકીકત પર નારાજગી વ્યક્ત કરી હતી કે ભારતને ફ્લડલાઇટ હેઠળ બે પ્રેક્ટિસ સત્ર આપવામાં આવ્યા હતા, જ્યારે નામિબિયાએ ફક્ત દિવસ દરમિયાન પ્રેક્ટિસ કરી હતી.ઇરાસ્મસે ભારતને ફાયદો આપવાના ICC ના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા. તેણે કહ્યું, ’આ મેચ પહેલા અમને ફ્લડલાઇટ્સ હેઠળ કોઈ પ્રેક્ટિસ સત્ર કેમ આપવામાં આવ્યા ન હતા? મને કારણ ખબર નથી. મારું માનવું છે કે ભારતને બે રાત્રિ પ્રેક્ટિસ સેશન આપવામાં આવ્યા હતા. તમે તેનો અર્થ તમારી ઇચ્છા મુજબ કરી શકો છો. નામિબિયાના ખેલાડીઓ પોતાના દેશમાં રાત્રે ક્રિકેટ રમી શકતા નથી. આનું મુખ્ય કારણ એ છે કે નામિબિયાના કોઈપણ સ્ટેડિયમમાં ફ્લડલાઇટ્સ નથી. આનો અર્થ એ છે કે નામિબિયાના ખેલાડીઓને ડે-નાઈટ મેચ રમવાનો કોઈ અનુભવ નથી, જેના કારણે ભારતમાં તેમના માટે રાત્રે રમવાનું વધુ મુશ્કેલ બને છે. નામિબિયાના ખેલાડીઓ ફક્ત દિવસે જ મેચ રમી શકે છે, અને હવે તેમને લાઇટ હેઠળ પ્રેક્ટિસ કરવાની તક પણ આપવામાં આવી નથી.
