શહેરના કાલાવડ રોડ પર માવતરે રહેતી અને પ્રેમલગ્ન કરનાર પરિણીતાને ‘તુ તો કાળી છો, મારા દિકરાને બીજી મળી જશે’ કહી પતિ સહિતના સાસરીયાઓ ત્રાસ આપતા હોવાની અને લગ્ન બાદ પતિને અન્ય સ્ત્રી સાથે આડાસંબંધ હોવાની જાણ થતા પતિ અવાર-નવાર ઝઘડા કરી તેને અને તેના પુત્રને મૂકી ભાગી ગયો હતો આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે પતિ, સાસુ, સસરા, બે જેઠ અને જેઠાણી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર આંબેડકરનગર આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા ક્રિષ્નાબેન (ઉ.વ.26) નામની પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોઠારીયા કોલોનીમાં રહેતા પતિ જયદીપ રામસિંહ સાંખલા, સસરા રામસિંહભાઈ, સાસુ અંજુબેન, જેઠ પંકજસિંહ, જેઠાણી ઉષાબા અને જેઠ શક્તિસિંહના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, કોલેજમાં અભ્યાસ કરતી વેળા જયદિપસિંહ સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતોફ વર્ષ 2022માં બંનેએ પ્રેમલગ્ન કર્યા હતા. એકાદ વર્ષ પછી પરિણીતાએ પુત્રને જન્મ આપ્યો હતો. પિયરપક્ષ સાથે સંબંધ ન હોવાથી પતિએ સાસુને અહીં બોલાવ્યા હતા તે સમયે સાસુ સસરા તથા બંને જેઠ ઘરે આવ્યા હતા અને બે મહિના સુધી રોકાયા હતા. આ દરમિયાન તેઓ પરિણીતાને મેણાટોણા મારવા લાગ્યા હતા.
પતિને કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ હોય જેનું રેકોર્ડિંગ મળતા આ બાબતે પતિને કહેતા તેણે ગુસ્સે થઈ મારકૂટ કરી હતી પતિ દારૂૂ પી ઘરે આવતો અને ઝઘડા કરતો હતો. તેમજ અવારનવાર બીજી સ્ત્રી સાથે વાત કરતો હોય આ બાબતે સાસુ સસરાને કહેતા તેણે ધ્યાન આપ્યું ન હતું અને સાસુએ કહ્યું હતું કે, તું કાળી છો મારા દીકરાને તો બીજે મળી જશે તારે રહેવું હોય તો રહે નહીં તો જતી રહે પિયરમાં સબંધ ન હોવાથી પરિણીતા ઓશિયાળું જીવન પસાર કરતી હતી. એકાદ વર્ષ પહેલાં પતિ સાથે અજાણી સ્ત્રીને લઈ ઝઘડો થયો હતો ત્યારે પતિએ કહ્યું હતું કે, હવે હું સુધરી જઈશ પરંતુ કોઈ સુધારો થયો ન હતો.
છેલ્લે આ બાબતે ઝઘડો થતા પતિએ કહ્યું હતું કે, હવે તો આમ જ થશે ત્યારે રહેવું હોય તો રહે નહીં તો જતી રહે એમ કહી તરછોડી જતો રહ્યો હતો. બાદમાં માતા-પુત્ર ઓશિયાળું જીવન પસાર કરતા હતા ત્યારબાદ તે પિતાના ઘરે ચાલી ગઈ હતી.બાદમાં આ મામલે પતિ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.
