11 સ્ટાફ સહિત અનેક દાઝયા: કટકની SCB મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં વહેલી સવારે 3 વાગ્યે ટ્રોમા સેન્ટરને જવાળાઓ ઘેરી વળતા અન્ય પાંચની હાલત ગંભીર: મૃતકોને 25 લાખ વળતર
ઓડિશાના કટકમાં SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં આજે વહેલી સવારે એક દુ:ખદ ઘટના બની. હોસ્પિટલના મેડિસિન વિભાગની ઇમારતમાં સ્થિત ટ્રોમા કેર ICU માં ભીષણ આગ ફાટી નીકળી. અહેવાલો દર્શાવે છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 10 દર્દીઓના મોત થયા છે. આ દર્દીઓ માટે આઇસીયુ વોર્ડ જ સ્મશાનભઠ્ઠી બની ગયો હતો.
ટ્રોમા કેર યુનિટના પહેલા માળે સોમવારે વહેલી સવારે 3:00 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. થોડીવારમાં જ, આખો ICU વોર્ડ ધુમાડામાં લપેટાઈ ગયો હતો. તે સમયે, ઘણા ગંભીર રીતે બીમાર દર્દીઓ વોર્ડમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ પર હતા. ચોતરફથી બુમાબુમ શરૂ થતા ભાંગતી રાતના અંધકારમાં આખા વિસ્તારમાં સનસનાટી મચી ગઇ હતી.
હોસ્પિટલના સ્ટાફ અને ફાયર ફાઇટરોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂૂ કરી. જોકે, ગંભીર હાલતમાં રહેલા ઘણા દર્દીઓ ધુમાડા અને ભીષણ આગનો ભોગ બન્યા હતા. જો કે ફાયર સેફટીની ઇન્ટરનલ નિષ્ફળતા અને અભાવ સિવાય હોસ્પીટલ સ્ટાફે ભારે દોડધામ કરીને અન્ય સંખ્યાબંધ દર્દીઓને બચાવી લીધા હતા.
હોસ્પિટલ વહીવટીતંત્ર અને ફાયર વિભાગના તાત્કાલિક પ્રતિભાવને કારણે, ડઝનબંધ દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ગંભીર હાલતમાં રહેલા બચી ગયેલા દર્દીઓને તાત્કાલિક ’ન્યૂ મેડિસિન આઈસીયુ’માં ખસેડવામાં આવ્યા હતા જેથી તેમની સારવાર કોઈ વિક્ષેપ વિના ચાલુ રહે. આગને કાબુમાં લેવા માટે ત્રણ ફાયર ટેન્ડર તૈનાત કરવામાં આવ્યા હતા; કલાકોની સખત મહેનત પછી, આખરે આગ બુઝાવવામાં આવી.
દુર્ઘટનાના સમાચાર મળતાં, મુખ્યમંત્રી મોહન માઝી ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને શોકગ્રસ્ત પરિવારોને મળ્યા અને શોક વ્યક્ત કર્યો. રાહત અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે આરોગ્ય સચિવ, કટક જિલ્લા કલેક્ટર અને ડીસીપી પણ સ્થળ પર હાજર હતા. આગના કારણોની તપાસ માટે ફોરેન્સીક ટીમ બોલાવવામાં આવી હતી. ત્યાં સુધી તરેહ તરેહની અટકળોનો દૌર ચાલતો રહ્યો હતો. દર્દીઓના સગાઓના ટોળા સુર્યોદય પછી ઘોર આક્રંદ કરતા જોવા મળ્યા હતા.
મુખ્યમંત્રી માઝીએ જણાવ્યું હતું કે, “તે વોર્ડમાં 23 દર્દીઓ દાખલ હતા. બચાવ કામગીરી શરૂૂ થાય તે પહેલાં જ વોર્ડની અંદર સાત લોકોના મોત થઈ ગયા હતા.” બચાવ્યા પછી ઇજાઓ અને ધુમાડામાં શ્વાસ લેવામાં તકલીફથી ત્રણ લોકોના મોત થયા હતા.
કુલ 10 લોકોએ જીવ ગુમાવ્યા. ઓછામાં ઓછા પાંચ દર્દીઓને ગંભીર ઇજાઓ પહોંચી. હોસ્પિટલના બે સ્ટાફ, જેઓ પોતે સારવાર લઈ રહ્યા હતા, તેઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનો માટે ₹25 લાખનું વળતર આપવાની પણ જાહેરાત કરી.
આગ કેવી રીતે લાગી?
પ્રાથમિક તપાસમાં એવું સૂચવવામાં આવ્યું છે કે આગ આઇસીયુના એર ક્ધડીશનિંગ સિસ્ટમમાં અથવા તબીબી સાધનોના ટુકડામાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે લાગી હશે. સરકારે આ બાબતની ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો છે. તપાસમાં એ પણ નક્કી કરવામાં આવશે કે હોસ્પિટલમાં ફાયર સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરવામાં કોઈ બેદરકારી હતી કે નહીં.
