કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજનનાં પુત્રે પાસામાંથી છૂટી ફરી લખણ ઝળકાવ્યા: નવા રીંગરોડ પર દુકાન પાસે ઝઘડો કરવાની ના પાડતા ડખ્ખો કરી દુકાનમાં તોડફોડ કરી : બે સામે ગુનો નોંધી ધરપકડ
શહેરના કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજનના 5ુત્રએ પાસામાંથી છુટી ફરી લખણ ઝળકાવ્યા હતા. શહેરના નવા રીંગરોડ પર પાનની દુકાન પાસે ગોળો બોલવાની ના પાડતા પાનના ધંધાથી પિતા-પુત્રોને ‘હું જેનીશ મહાજન છુ, મારા પર ઘણા ગુના છે’ કહી ટાંટીયા ભાગી નાખવાની ધમકી આપી દુકાનમાં તોડફોડ કરી આ અંગે યુનિ.પોલીસે જેનીશ મહાજન સહિત બે શખ્સો સામે ગુનો નોંધી બંનેને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ મુંજકાનાં શ્રી સીટી એપાર્ટમેન્ટ ફ્લેટ નં.-1001માં રહેતા 28 વર્ષીય પાનનાં ધંધાર્થી પ્રતિક રમેશચન્દ્ર રુઘાણીએ યુનિવર્સીટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કરણ અને જેનીશના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેને નવા 150 ફૂટ રીંગ રોડ નંદનવન રેસ્ટોરન્ટની બાજુમાં એન.ડી.વી. પાન એન્ડ કોલ્ડ્રીંક્સ નામની પાનની દુકાન આવેલી છે. ગઈકાલે રાત્રીના તે યુનિવર્સિટી રોડ પર દ્વારકાધીશ હોટલ પાસે હતો. ત્યારે તેના પપ્પાનો ફોન આવેલ કે, બે વ્યક્તિઓ આપણા પાન પાર્લર પાસે આવી ઝઘડો કરતાં હોય તો તું જલ્દી અહીં આવ. જેથી તેણે તેના ભાઈ દર્શનને ફોન કરી બનાવની વાત કરેલ હતી. ત્યારબાદ હું તુરંત જ ત્યાં પાનની દુકાને પહોંચેલ અને મારી પાછળ પાછળ મારો ભાઈ દર્શન પણ પહોંચી ગયેલ હતો.
પિતાએ વાત કરેલ કે, બે વ્યક્તિઓ પાનની દુકાને આવેલ હતા. તેમણે અહીંથી સિગરેટ અને પાણીની બોટલ લીધેલ અને બાદ આ બંને વ્યક્તિઓ અંદરો અંદર ગાળો બોલતાં હોય જેથી મેં તેને કહેલ કે, તમે બંને અહીં ગાળો ના બોલો અહીં બીજા ગ્રાહકને ખરાબ લાગે, તમે અહીંથી જતાં રહો. જેથી બંને શખ્સો ઉશ્કેરાઈ જઈ મારી પાસે આવી કહેલ કે, મને ઓળખો છો હું જેનીશ મહાજન છું મારા પપ્પા કોણ છે તમને ખબર છે. મારા પર ઘણા બધા ગુના દાખલ થયેલ છે તેમ કહી પાણીની બોટલનો ઘા કરેલો હતો. વધુમાં બંનેએ ગાળો આપી કહેવા લાગેલ કે, તારે મને કાંઇ કહેવુ નહીં, નહીંતર તારા ટાંટીયા ભાંગી જાનથી મારી નાખીશ અને દુકાનમાં તોડફોડ કરવાં લાગેલ હતો. ત્યારે જેનીસ સાથે આવેલ એક વ્યક્તિ જે પોતે કરણ હોવાનું જણાવી મને ગાળો આપવા લાગેલ હતો. બાદ અન્ય કોઈ ગ્રાહક આવતા તેણે બંનેને સમજાવ્યા હતા. જે બાદ બંને શખ્સો ત્યાંથી ચાલ્યા હતા.
જ્યાં યુવાનની ફરિયાદ પરથી યુનિવર્સીટી પોલીસે કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજનનાં પુત્ર જેનીશ હર્ષદ માંડલિયા અને કરણ રાજુભાઈ પરમાર નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, જેનીશ મહાજનને અગાઉ પાસા કરવામાં આવ્યા હોય પાસામાં છૂટયા બાદ ફરી લખણ ઝળકાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
