પાંજરાપોળ પાસે બનાવ, યુવાનને સિવિલ હોસ્પિટલે ખસેડ્યો
શહેરના પાંજરાપોળ પાસે આવેલા દુરાની પાર્ક વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રહેતા અને ચાંદી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા 32 વર્ષીય સુરેન્દ્ર ઉર્ફે શુભમ અજયભાઈ માળી નામના યુવકે પોતાના ઘરે પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રાથમિક વિગતો મુજબ, સુરેન્દ્રભાઈને તેમની પત્ની કિયાબેન સાથે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. આ બોલાચાલી બાદ આવેશમાં આવી જઈને યુવકે અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યું હતું અને રૂૂમમાં જઈ પંખાના હૂક સાથે ગાળિયો બનાવી લટકી ગયો હતો.
આ સમગ્ર ઘટનામાં સૌથી કરુણ બાબત એ હતી કે જ્યારે સુરેન્દ્રભાઈ ફાંસો ખાઈ રહ્યા હતા, ત્યારે તેમની નાની દીકરી તે દ્રશ્ય જોઈ ગઈ હતી. પિતાને આ હાલતમાં જોઈ માસૂમ બાળકીએ જોરજોરથી દેકારો કરતા પરિવારમાં ફાળ પડી હતી. બાળકીની બૂમો સાંભળી પત્ની કિયાબેન અને આસપાસના પાડોશીઓ તુરંત દોડી આવ્યા હતા.
સમયસૂચકતા વાપરી પાડોશીઓએ અને પત્નીએ તેમને નીચે ઉતારી લીધા હતા, જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો. તાત્કાલિક અસરથી 108 મારફતે તેમને સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલમાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
