જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વિભાણિયા ગામમાં રહેતા પર પ્રાંતિય શ્રમિક યુવાને પોતાની પત્ની રિસાઈને માવતરે ચાલી જતાં મનમાં લાગી આવવાથી ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ કાલાવડ તાલુકાના વિભાણીયા ગામમાં રહેતા હમીરભાઈ ભીખાભાઈ ગોલતર ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા દિલીપ ઉર્ફે વિનુભાઈ ખીમજીભાઈ શીંગાણી નામના 30 વર્ષના પરપ્રાંતિય શ્રમિક યુવાને પોતાના હાથે ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવ અંગે મિતલબેન નિખિલભાઈ ડાવેરા નામની સંબંધી મહિલાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે બનાવના સ્થળે પહોંચી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો હતો, અને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ પૂછપરછ માં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાનની પત્ની છેલ્લા ચાર દિવસથી રિસાઈને પોતાના માવતરે ચાલી ગઈ હતી, જે વાતનું તેને મનમાં લાગી આવ્યું હતું, અને પોતાની પત્નીના વિયોગમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ દ્વારા તપાસ ચલાવાઈ રહી છે.
