પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં વિજતંત્ર દ્વારા સ્થાનિક ગ્રાહકોની સુવિધા માટે ’વીરપુર સબ-ડિવિઝન’ કચેરી મંજૂર કરવામાં આવી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આ કચેરી વીરપુરમાં શરૂૂ કરવાને બદલે રાજકીય ઈશારે અને વગદારોના દબાણ હેઠળ જેતપુર ખાતે કાર્યરત કરી દેવામાં આવી છે. જેને પગલે વીરપુર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના વીજ ગ્રાહકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ઉનાળાના આ ધમધગતા તાપમાં લોકોને નજીવી વીજ કામગીરી માટે પણ જેતપુર સુધી લાંબા થવાની નોબત આવી છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અમારે ગોંડલના ધક્કા મટ્યા, પણ જેતપુરની નવી આફત શરૂૂ થઈ, અગાઉ યાત્રાધામ વીરપુરનો સમાવેશ ’પીજીવીસીએલ ગોંડલ ગ્રામ્ય-2’ પેટા વિભાગની કચેરી હેઠળ થતો હતો. અન્ય વહીવટી કામો માટે છેક ગોંડલ સુધી ધક્કા ખાવા પડતા હતા. લોકોની આ હાલાકી દૂર કરવા માટે વિજતંત્ર દ્વારા ખાસ વીરપુર ખાતે જ નવું સબ-ડિવિઝન મંજૂર કરવામાં આવ્યું હતું. પરંતુ સત્તાધીશો અને રાજકીય નેતાઓની સાંઠગાંઠને કારણે આ કચેરી વીરપુરમાં ખોલવાને બદલે જેતપુર ખાતે શરૂૂ કરી દેવાતા લોકો ’ખોળિયો ખાંડતા રતન ખોવાયું’ જેવો ઘાટ અનુભવી રહ્યા છે.
વીરપુરના ગ્રામજનો અને વેપારી મંડળો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે કે, જે કચેરી વીરપુરના નામે મંજૂર થઈ છે તેને તાત્કાલિક જેતપુરથી હટાવીને વીરપુરમાં જ સ્થાપિત કરવામાં આવે.
જલા બાપાના દરબારમાં આપેલું વચન વીજતંત્રના અધિકારીઓએ નેવે મૂક્યું
જ્યારે સરકાર દ્વારા વીરપુર ખાતે પીજીવીસીએલ સબ-ડિવિઝન કચેરી મંજૂર કરાઈ અને તેને જેતપુર ખાતે કાર્યરત કરાતા ભારે વિરોધ વચગાળે વીરપુર જલારામ બાપાના મંદિર ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એ સમયે પીજીવીસીએલ જેતપુર ડિવિઝનના કાર્યપાલક ઈજનેર તરીકે એચ. એચ. સોની ફરજ બજાવતા હતા ત્યારે વીરપુર જગ્યાના ગાદીપતિ, વીરપુર ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ સરવૈયા, સ્થાનિક અગ્રણીઓ અને વેપારી એસા.ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં અધિકારીઓ દ્વારા ખાતરી આપીને એવું નક્કી કરાયું હતું કે, ગ્રામ્ય વિસ્તારના લોકોની સુવિધા માટે વીરપુર ખાતે જ એક ખાસ પેટા કચેરી (સબ-ઓફિસ) શરૂૂ કરવામાં આવશે, જ્યાં વીજ સમસ્યાઓનું સ્થાનિક સ્તરે જ નિવારણ થશે.
