મહારાષ્ટ્રના ગોંદિયામાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. બસ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. ઘાયલોમાં કેટલાકની હાલત અત્યંત ગંભીર છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે. આ ઘટના પાછળનું કારણ એવું કહેવાય છે કે બાઇકને બચાવવાના પ્રયાસમાં બસ કાબૂ બહાર ગઈ હતી.અને બસ પલટી મારી ગઈ હતી.
ગોંદિયા-કોહમારા સ્ટેટ હાઈવે પર ખજરી ગામ પાસે બાઇકને બચાવવાનો પ્રયાસ કરતી વખતે શિવશાહી બસ કાબૂ બહાર ગઈ અને પલટી ગઈ. બસ પલટી જતાં કેટલાક લોકો તેની નીચે દબાઈ ગયા હતા, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો.
અકસ્માતમાં પલટી ગયેલી બસ મહારાષ્ટ્ર રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC)ની હતી. આ બસ ભંડારાથી સાકોલી લાખાણી થઈ ગોંદિયા તરફ જઈ રહી હતી. બસની સામે વળતો રસ્તો હતો અને અચાનક સામેથી એક બાઇક આવ્યું. બાઇક ચાલકને બચાવવાનો પ્રયાસ કરતી વખતે બસના ચાલકે વાહન હંકારી લીધું હતું, જેના કારણે બસ કાબુ બહાર નીકળી ગઈ હતી અને પલટી મારી ગઈ હતી.
અકસ્માત સમયે બસમાં 35થી વધુ મુસાફરો હતા જેમાંથી 9ના મોત થયા છે. મૃત્યુઆંક પણ વધી શકે છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ બસ ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. રાહદારીઓની સૂચનાથી એમ્બ્યુલન્સ અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે ઘાયલોને ગોંદિયા જિલ્લા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. અકસ્માતમાં સપડાયેલી બસને ઉપાડવા માટે ક્રેઈનની મદદ લેવામાં આવી હતી અને તેને ત્યાંથી હટાવવામાં આવી હતી. હાલ પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે.