મહારાષ્ટ્રના નાસિકમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની છે. સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર કૂવામાં ખાબકી હતી. આ દુ:ખદ અકસ્માતમાં એક જ પરિવારના છ માસૂમ બાળકો સહિત નવ લોકોના મોત થયા હતાં. આ ઘટના નાસિકના દિંડોરી તાલુકામાં બની હતી.
માલતી માહિતી અનુસાર પરિવાર એક કાર્યક્રમમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક કાર ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર સીધી કૂવામાં ખાબકી હતી. એક જ પરિવારના આટલા બધા સભ્યોના અચાનક મોતથી આખા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બધા મૃતકો ઇન્દોર ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
આ અકસ્માતમાં સુનીલ દરગુડે (27), આશા અનિલ દરગુડે (32), ખુશી/સૃષ્ટિ અનિલ દરગુડે (14), શ્રેયસ અનિલ દરગુડે (11), રાખી/ગુણવંતી સુનીલ દરગુડે, શ્રાવણી અનિલ દરગુડે (11), સમૃદ્ધિ રાજેન્દ્ર દરગુડે (7), માધુરી અનિલ દરગુડે (13) અને સુનીલ દત્તુ દરગુડે (32)નું મોત થયું છે. આ અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મોડી રાત સુધી રાહત અને બચાવ કામગીરી ચાલુ રહી હતી. સ્થાનિક નાગરિકોની મદદથી વાહન અને તમામ મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને દિંડોરીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
