નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલા રામપુરાના કીડીમંકોડી ઘાટથી આગામી 19 માર્ચથી પવિત્ર નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમાનો ભવ્ય પ્રારંભ થવાનો છે. ચૈત્ર મહિનામાં યોજાતી આ ઉત્તરવાહીની નર્મદા પંચકોશી પરિક્રમા લગભગ એક મહિના સુધી ચાલશે, જેમાં અંદાજે 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવો અંદાજ છે. આટલી મોટી સંખ્યામાં આવનારા યાત્રાળુઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ સુવિધાઓ ગોઠવવાની કામગીરી શરૂૂ કરી દેવામાં આવી છે.
તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓ માટે ખાસ ડોમ, બેરિકેટિંગ, લાઇટિંગ, જેટી, ઘાટોની વ્યવસ્થા તેમજ બેસવા અને આરામ કરવા માટેની વિશેષ સગવડો ઉભી કરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા દરમિયાન યાત્રાળુઓને આરામદાયક અને સુરક્ષિત વાતાવરણ મળે તે માટે મંડપ, છાંયડાની વ્યવસ્થા, પંખા, ચેન્જિંગ રૂૂમ, સ્નાન સુવિધા, ટોયલેટ, નાવડી (બોટિંગ) સેવા, લાઇટિંગ, સાઇન બોર્ડ, માઇક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, કંટ્રોલ રૂૂમ, આરોગ્ય સેવાઓ અને પીવાના શુદ્ધ પાણીની સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. રામપુરા ઘાટ ખાતે જેટી, સ્વચ્છતા અને પાર્કિંગની સુવિધા સુચારુ રીતે ઉભી થાય તે માટે પણ અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, સલામતી અને પાર્કિંગ માટે પણ અલગથી આયોજન કરવામાં આવી રહ્યું છે. પરિક્રમાર્થીઓની અવરજવર સરળ બને અને સમગ્ર વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે ચાલે તે માટે તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવાની સૂચના આપવામાં આવી છે.
