શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇ છે. જેમાં રૈયાગામના આધેડ અને હુડકો કવાર્ટરના પ્રૌઢનું હાર્ટએટેકથી મોત નીપજતા બંન્ને પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રૈયાગામમાં આવેલા બિરજુ પાર્કમાં રહેતા ગીજુભાઇ લાભશંકરભાઇ પુરોહિત (ઉ.વ.51) બપોરના સમયે પોતાના ઘરે બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જયા ફરજ પરના તબીબે આધેડનુ હાર્ટએટેકથી મોત નીપજ્યાનું જાહેર કર્યુ હતું. મૃતક આધેડને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે અને આધેડ કર્મકાંડનું કામ કરતા હોવાનું જાણવા મળ્યુ છે. બીજા બનાવમાં કોઠારિયા રોડ પર હુડકો કવાર્ટરમાં રહેતા અમિતભાઇ રમણીકભાઇ પીઠડીયા નામના 45 વર્ષના પ્રૌઢ પોતાના ઘરે હતા.
ત્યારે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જયા તેમનુ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. અન્ય બનાવમાં પેડક રોડ પર શિવ સૃષ્ટિ પાર્કમાં રહેતા પરિવારની જસ્બીબેન અંકિતભાઇ રામાણી નામની 7 મહિનાની બાળકી અને રૈયાધારમાં રહેતા વિજયભાઇ સમેચાના 20 દિવસના માસુમ બાળકનું બેભાન હાલતમાં મોત નીપજ્યુ હતું. બંન્ને બાળકના મોતથી બંન્ને પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
