રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વાહનચાલકો માટે હાશકારો થાય તેવા સમાચાર આવ્યા છે. રાજકોટ- અમદાવાદ સિક્સલેન હાઇ-વેના કામમાં લાબા સમયથી બંધ પડેલ કુવાડવાના લાંબા ઓવરબ્રિજનું કામ ફરી ધમધમતું થયું છે. કોન્ટ્રાકટર કામ છોડીને ભાગી જતા લાંબા સમયથી કુવાડવા ગામ પાસેના ઓવરબ્રીજનું કામ અધુરૂ લટકી પડયું હતું અને રાજકીય આટાપાટાના કારણે ઓવર બ્રિજના હાડપીંજર રોડ વચ્ચે ઉભા હોવાથી વાહનચાલકો છેલ્લા પાંચ વર્ષથી ભારે હાડમારી વેઠી રહ્યા છે.
અહીં અવાર- નવાર ટ્રાફિકજામ પણ સર્જાય છે. ખાસ કરીને હીરાસર એરપોર્ટ આવ-જા કરતા વાહન ચાલકોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડતી હતી. પરંતુ છેલ્લા દસેક દિવસથી અચાનક કુવાડવા ઓવરબ્રીજનું કામ ઝડપભેર શરૂ થતા હવે સૌરાષ્ટ્રભરના અમદાવાદ કે અન્ય શહેરોમાં જતા વાહનચાલકોને આ યાતનામાંથી છુટકારો મળે તેવી આશા જાગી છે. ખાસ કરીને રાજકોટ-અમદાવાદ હાઇવે સિકસલેન બનાવવાનું સ્વ.વિજયભાઇ રૂપાણીનું સ્વપ્ન પણ પુરૂ થશે. (તસવીર: નરેન્દ્ર પીઠીયા)
