ભાવનગર જિલ્લાના પાલીતાણાના ભીલવાસ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે અગાસી પર બેસવાની બાબતે થયેલી બોલાચાલીમાં લોહિયાળ ખેલ ખેલાયો છે. અગાસી પર બેસવાનું મનદુખ રાખી પાડોશમાં રહેતા પાંચ શખસોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી એક યુવકની ઘાતકી હત્યા કરી નાખી છે, જ્યારે મૃતકના ભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી વિગતો મુજબ મોડાસા ખાતે રહી વાસણ વેચવાની મજૂરી કરતા કલાભાઈ મગનભાઈ વાઘેલા અને તેમના ભાઈ અજયભાઈ વાઘેલા દશામાના વ્રત હોવાથી પાલીતાણા ભીલવાસ સ્થિત પોતાના વતન આવ્યા હતા. રાત્રે આશરે સાડા બારેક વાગ્યાના સુમારે અજયભાઈ પોતાના મકાનની અગાસી પર બેઠા હતા. આ બાબત પાડોશમાં રહેતા લખુભાઈ રામજીભાઈ અને તેમના પુત્રોને ગમી ન હોવાથી તેઓએ ગાળો બોલવાનું શરૂૂ કર્યું હતું.
ઘર બહાર દેકારો થતાં ફરિયાદી કલાભાઈ બહાર આવ્યા હતા અને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા સામાવાળા શખસો છરી, કોયતો, ખંપાળી, લાકડી અને લોખંડના સળિયા જેવા પ્રાણઘાતક હથિયારો સાથે કલાભાઈના ઘરમાં ઘૂસી આવ્યા હતા.
હુમલાખોરોમાં સામેલ કાળુભાઈ લખુભાઈ નામના શખસે કલાભાઈને છાતીના ભાગે અને હોઠ પર છરીના ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ તમામ હુમલાખોરોકાળુભાઈ લખુભાઈ, ડાયાભાઈ લખુભાઈ, રોહિતભાઈ લખુભાઈ, રાજેશભાઈ લખુભાઈ અને લખુભાઈ રામજીભાઈઅગાસી પર પહોંચ્યા હતા. જ્યાં કાળુભાઈએ અજયભાઈને પણ છાતીના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો અને અન્ય શખસોએ હથિયારો તેમજ ઢીકા-પાટુનો ઢોરમાર માર્યો હતો.
અવાજ સાંભળી આસપાસના લોકો અને પરિવારજનો ભેગા થઈ જતાં હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા કલાભાઈને પ્રથમ પાલીતાણા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગરની પલ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અજયભાઈનું સ્થળ પર જ ગંભીર ઈજાઓના કારણે કરૂૂણ મોત નીપજ્યું હતું.
