જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના શેરિયાખાણ ગામે શેરીમાં કચરો અને ભેંસના રાળા (કચરો) હટાવવા જેવી નજીવી બાબતે બે જૂથ વચ્ચે ઝપાઝપી અને મારામારીનો ગંભીર બનાવ બન્યો હતો. આ ઘટના બાદ સુકાભાઈ રાણાભાઈ ભરડા નામના વૃદ્ધનું શંકાસ્પદ મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારજનોમાં શોક છે. પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, લાખા સિંધવ અને તેમના સાગરીતો દ્વારા કરવામાં આવેલા હુમલા અને મારામારીના કારણે જ વૃદ્ધનું મોત થયું છે.
મૃતકના ભત્રીજા શૈલેષ ભરડાએ જણાવતા કહ્યું હતું કે, સવારે આશરે છ વાગ્યે તેઓ ઘરેથી નીકળ્યા ત્યારે બાજુમાં ભેંસ બાંધતા લાખાભાઈ ભગાભાઈ સિંધલ સાથે કચરો હટાવવા બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ સવારે સાડા આઠ વાગ્યાના સુમારે તેમની સાથે મારામારી કરીને થપ્પડો મારવામાં આવી હતી.
આ બઘડાટી દરમિયાન શૈલેષભાઈને, તેમના માતાને તથા બચાવવા વચ્ચે પડેલા કાકા સુકાભાઈ ભરડાને પણ માર મારવામાં આવ્યો હતો. આ ઝપાઝપી દરમિયાન તેમના કાકા નીચે પડી ગયા હતા. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે આ અસામાજિક તત્વો છેલ્લા બે વર્ષથી બધાને હેરાન કરી રહ્યા છે, જેથી પોલીસ તંત્ર દ્વારા આરોપીઓ સામે યોગ્ય કલમો હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે અને પરિવારને ન્યાય મળે.
આ મામલે ઉુજઙ દિનેશ કોડિયાતરે જણાવ્યું હતું કે, રસ્તા પર કચરો ફેંકવા બાબતે બે અલગ-અલગ સમાજના લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી. મારામારીની ઘટના બાદ સુકાભાઈ ભરડા પોતાના ઘરે ગયા હતા, જ્યાં તેમને અચાનક છાતીમાં અસહ્ય દુખાવો ઉપડતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પરિવારજનો દ્વારા હુમલાના આક્ષેપો કરવામાં આવ્યા હોવાથી મોતનું ચોક્કસ અને સચોટ કારણ જાણી શકાય તે માટે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે જામનગર ખાતે મોકલવામાં આવ્યો છે. હાલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ અધિકારીએ ખાતરી આપી છે કે જામનગરથી ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યા બાદ રિપોર્ટના આધારે આ સમગ્ર ઘટનામાં કાર્યવાહી કરવામાં આવશે.
