ગુજરાત મિરર, બેંગ્લુરુ તા. 3
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હજુ પણ તણાવ યથાવત છે. દરમિયાન, કર્ણાટક સરકારના ગૃહ અને લઘુમતી મંત્રી ઝમીર અહેમદ ખાનનું એક નિવેદન વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે. પોતાના નિવેદનમાં, મંત્રી પાકિસ્તાન સાથે યુદ્ધ લડવા માટે આત્મઘાતી બોમ્બ સાથે એકલા પાકિસ્તાન જવા માટે કહી રહ્યા છે.
શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ખાને કહ્યું કે પાકિસ્તાન હંમેશા ભારતનું દુશ્મન રહ્યું છે. આવા દુ:ખના સમયમાં, જો વડા પ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ મને તક આપે, તો હું સરહદ પર જઈને લડવા માટે તૈયાર છું. તેમણે કહ્યું, આપણે બધા ભારતીય છીએ, આપણે હિન્દુસ્તાની છીએ. પાકિસ્તાન સાથે અમારો કોઈ સંબંધ નથી. પાકિસ્તાન હંમેશા અમારો દુશ્મન દેશ રહ્યો છે. જો વડા પ્રધાન મોદી અને અમિત શાહ અથવા કેન્દ્ર સરકાર મને પરવાનગી આપે, તો હું પાકિસ્તાન જઈને યુદ્ધ લડવા તૈયાર છું.
ખાને વડા પ્રધાન મોદીને આત્મઘાતી બોમ્બ પૂરો પાડવા માટે પણ હાકલ કરી હતી. તેણે કહ્યું કે હું યુદ્ધ માટે પાકિસ્તાન જઈશ… મોદી, શાહ મને આત્મઘાતી બોમ્બ આપો, હું તેમને બાંધીને પાકિસ્તાન જઈને હુમલો કરીશ.
