જૂનાગઢમાં આવેલ યાત્રાધામ ગિરનાર ખાતે એક અત્યંત ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગિરનાર પર્વત પર એક સિંહે બાળક પર હુમલો કર્યા બાદ વન વિભાગ અને સ્થાનિક તંત્ર સફાળું જાગ્યું છે અને તાત્કાલિક અસરથી કડક પગલાં લીધા છે. યાત્રિકોની સુરક્ષાને પ્રાધાન્ય આપતા તંત્ર દ્વારા ગિરનારની સીડીઓ પર અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગિરનારના જંગલ વિસ્તારમાં વન્યજીવોની અવરજવર સામાન્ય છે, પરંતુ તાજેતરમાં એક સિંહે યાત્રિકોના માર્ગ પર આવીને એક બાળક પર હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તંત્ર તુરંત જ એક્શનમાં આવ્યું હતું.
વન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે, યાત્રિકોના જીવને જોખમમાં મૂકી શકાય નહીં. તેથી, આગામી આદેશ ન મળે ત્યાં સુધી ગિરનારની સીડીઓ પર ચઢવા કે ઉતરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ પ્રતિબંધ અનિશ્ચિતકાળ સુધી લાગુ રહેશે. જ્યાં સુધી વન વિભાગ દ્વારા વિસ્તારનું સઘન ચેકિંગ કરવામાં ન આવે અને યાત્રિકો માટે રૂૂટ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની ખાતરી ન થાય ત્યાં સુધી સીડીઓ ખોલવામાં આવશે નહીં. આ નિર્ણયને પગલે ગિરનારની પરિક્રમા કે દર્શન કરવા આવતા હજારો શ્રદ્ધાળુઓએ હવે પોતાની યાત્રા મોકૂફ રાખવી પડશે અથવા તંત્રની આગામી સૂચનાની રાહ જોવી પડશે. વન વિભાગ દ્વારા સિંહના લોકેશનને ટ્રેક કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
