જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓ પૂર્વે રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. પૂર્વ કોર્પોરેટર અને સ્થાનિક નેતા અતુલ ભંડેરીએ ભાજપ છોડી ફરી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. તેમની સાથે 100થી વધુ કાર્યકરો અને સમર્થકો પણ કોંગ્રેસમાં જોડાયા હતા.
જામનગર શહેરના વોર્ડ નંબર 16ના પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી, જયેશ દોમડીયા અને રાજેશ વાઘેલા સહિત 100થી વધુ યુવાનો અને આગેવાનો કોંગ્રેસ પક્ષની વિચારધારાથી પ્રેરિત થઈ કોંગ્રેસ પરિવારમાં સામેલ થયા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વમાં આ કાર્યક્રમ યોજાયો હતો. અતુલ ભંડેરી અગાઉ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. જોકે, ભાજપમાં તેમના કાર્યોની અવગણના અને અધૂરા વચનોથી તેઓ નારાજ હતા. આગામી મહાનગરપાલિકા ચૂંટણી લડવાની તૈયારીઓ વચ્ચે તેમણે ફરી પોતાની જૂની પાર્ટીમાં પરત ફરવાનો નિર્ણય લીધો છે.
